બાયડ ખાતે બે અધિકારીઓ પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ
(રખેવાળ ન્યૂઝ) અરવલ્લી
અરવલ્લી જિલ્લાના બાયડ પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલી પંચાયત પેટા વિભાગની માર્ગ અને મકાન કચેરીમાં વર્ષોથી ફરજ બજાવતા બે અધિકારીઓ વિશે કેટલાક જાગૃત નાગરિકોએ લેખિતમાં અરજી કરી તંત્રનું ધ્યાન દોરવાનો પ્રયત્ન કર્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ બાયડ તેમજ ધનસુરા તાલુકાના જાગૃત નાગરિકોએ વિસ્તારમાં ચાલી રહેલા રોડના કામોમાં કોન્ટ્રાક્ટરો અને બંને અધિકારીઓની મીલીભગતથી હલકી ગુણવત્તાનું મટેરિયલ વાપરી બિલકુલ હલકી ગુણવત્તાનું કામ કરવામાં આવી રહ્યું હોવાનો આક્ષેપ કરી રહ્યા છે અને કામમાં મોટા પ્રમાણે ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે, તેમજ કોન્ટ્રાક્ટરો દ્વારા સમય મર્યાદામાં કામ પણ પૂર્ણ કરવામાં આવ્યા નથી તેવા ગંભીર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે.માર્ગ અને મકાન (પંચાયત) પેટા વિભાગની બાયડ ખાતે આવેલી કચેરીમાં વર્ષોથી ફરજ બજાવતા બે અધિકારીઓ રાજેશભાઇ મલાણી અને નવનીતભાઇ પટેલ પર ભ્રષ્ટાચાર આચરી બેનામી અપ્રમાણસર મિલકત એકઠી કરવાનો ગંભીર આક્ષેપ બાયડ તેમજ ધનસુરા તાલુકાના જાગૃત નાગરિકો દ્વારા કરવામાં આવ્યો છે, અને બંને અધિકારીઓ સામે તપાસની માંગ સાથે મુખ્યમંત્રી, માર્ગ અને મકાન મંત્રી, કલેકટરશ્રી, જિલ્લા પોલીસ વડા, જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા વિકાસ અધિકારી, વિજિલીન્સ અધિકારી તેમજ માર્ગ અને મકાન વિભાગના ઉચ્ચ અધિકારીઓને લેખિતમાં જાણ કરવામાં આવી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળેલ છે…