મેઘરજના ઉકરડી ગામે ચોમાસાના ભેજને લઈ મકાન પડ્યું, સદનસીબે પરિવારના સભ્યોનું આબાદ બચાવ
ચોમાસા બાદ કાચા મકાનોમાં ભારે ભેજની અસર જોવા મળતી હોય છે. ત્યારે ભેજ ના કારણે મકાનો પડી જવાની સંભાવના રહે છે. મેઘરજના અંતરિયાળ ઇસરી પંથકના ઉકરડી ગામે રહેતો મહેન્દ્ર પરમારનો પરીવાર ખેતીકામ કરી પોતાનો જીવન ગુજારો કરે છે. ત્યારે સામાન્ય પરિસ્થિતિમાં નાના ચાર બાળકો સાથે રહેતો આ પરિવાર ઘરમાં હતો. એ સમયે એકાએક મકાનના પાછળની દીવાલ અને છાપરું ધડાકા ભેર પડ્યું હતું.
જો કે ઘરમાં રહેલા નાના બાળકો સહિત ઘરના સદસ્યો ફટાફટ બહાર દોડી આવતાં તમામનો બચાવ થયો છે. જો કે ઘરમાં રહેલ માલસામાન મકાન પડ્યું એમ દટાઈ ગયો હતો. એક શ્રમિક પરીવાર પર કુદરતનો માર પડતાં ગરીબના માથે આભ તૂટી પડ્યું હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે તંત્ર દ્વારા અસરગ્રસ્ત ખેડૂતના ઘરનો સર્વે કરી યોગ્ય વળતર આપે એવી માંગ છે.