
માલપુરમાં ખાડીયા કા રાજા ગણેશ મહોત્સવમાં વેશભૂષા કાર્યક્રમ યોજાયો
હાલ સમગ્ર દેશમાં ગણપતિ મહોત્સવ ધામધૂમથી ઉજવાઇ રહ્યો છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ગણેશ મહોત્સવની ઉજવણી અનોખી રીતે થઈ રહી છે.અરવલ્લીના માલપુર નગરમાં ઉજવાઇ રહેલા ગણેશ મહોત્સવમાં ભગવાનના ભજનોની સાથે ભગવાનના અલગ અલગ પાત્રો સાથેની વેશભૂષા રજૂ કરવામાં આવી. માલપુરના ખાડીયા ચાર રસ્તા વિસ્તારમાં ગણપતિ, હનુમાનજી અને ભૂત ટોળી સાથે મહાદેવનું પાત્ર રાજુ કરાયું હતું. મહાદેવનું શિવ તાંડવઃ નૃત્ય પણ કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં ગણેશ ભક્તોએ ભજન અને ભગવાનના પાત્રોના દર્શન કર્યા હતા.
માલપુર નગરના ખાડીયા કા રાજા ગણેશ મહોત્સવમાં ખાસ કોમી એખલાસના દર્શન થયા હતા. નગરના મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં ખાડીયા કા રાજા ગણેશ મહોત્સવમાં તિરંગા સાથે આવી ગણપતિ ભગવાનને પુષ્પમાલા અર્પણ કરીને ભગવાનના દર્શન કર્યા હતા. આ સમયે કોમી એકતાના દર્શનનું અનોખું આકર્ષણ જોવા મળ્યું હતું. એટલું જ નહીં ભજનમાં ઉપસ્થિત તમામ ભક્તોને મુસ્લિમ બિરાદરો દ્વારા અલ્પાહાર આપવામાં આવ્યો હતો. આમ માલપુર નગરના ખાડીયા ચાર રસ્તા વિસ્તારમાં ગણપતિ મહોત્સવમાં ભારે ધૂમ જોવા મળી હતી.