બાયડ શહેરમાં બંધ રાખવાને લઈ વેપારીઓમાં મતમતાંતર
બાયડમાં વેપારીઓની બેઠક ગુરૂવારે રોજ યોજવામાં આવી હતી. જેમાં શહેરમાં બંધ રાખવા ને લઈ વેપારીઓમાં જ મતમતાંતર પ્રવેશ્યો છે. આ અંગે મળેલી માહિતી મુજબ શહેર તથા તાલુકામાં કોરોનાના કેસો વધતા જાય છે ત્યારે બાયડના વેપારીઓની એક બેઠક ગુરૂવારના રોજ યોજી હતી જેમાં કેટલાક વેપારીઓએ બંધ રાખવાની વાત કરતાં અન્ય વેપારીઓમાં આક્રોશ ફાટ્યો હતો.
આ મામલે બાયડના વેપારી અગ્રણી લાલાભાઇ પટેલએ જણાવ્યું કે જે વેપારીઓ એકઠા થાય છે તેમને સિઝનેબલ ધંધો નથી બાયડ શહેરમાં સિઝનેબલ ધંધો ચલાવતા મોટી સંખ્યામાં વેપારીઓ છે ખોટી રીતે બંધ કરાવી આ વેપારીઓની કમર તૂટી જાય છે માંડ માંડ ધંધા-રોજગાર ચાલુ થયા છે ત્યારે ફરીથી બંધ કરાવતા શહેરમાં જ વેપારીઓમાં અસંખ્ય ભાગ પડી ગયા છે ત્યારે સંખ્યાબંધ વેપારીઓ બંધ રાખવાના વિરોધમાં છે ત્યારે કેટલાક વેપારીઓ અંદરખાને દુકાનો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.
જેમાં શનિ-રવિ સંપૂર્ણ બંધ તથા ચાલુ દિવસે 8 કલાક દુકાનો ચાલુ રાખી બપોર બાદ બંધ કરવાનો નિર્ણય પણ કર્યો છે. 10 દસ દિવસ સુધી આ નિર્ણય કર્યો હોવાનું પણ બહાર આવ્યું છે. સમગ્ર પ્રકરણમાં પાલિકાના ચીફ ઓફિસર સાવિબેન સોનીએ જણાવ્યું કે જે વેપારીને ખુલ્લું રાખવું હોય તે રાખી શકે છે કોઈને દબાણ નથી સરકારમાંથી કોઇ સૂચના હજુ સુધી આવી નથી.