
ભાદરવી પૂનમના મેળામાં શીષ નમાવવા ભક્તો ચાલતા ધજાઓ સાથે અંબાજી નીકળ્યા
ભાદરવી પૂનમના મેળો આજથી શરૂ થાય છે. ત્યારે દુર-દુરથી ભક્તો માતાજીને શિષ જુકાવવા માટે ચાલતા અંબાજી પહોંચીને અનોખી શ્રદ્ધાના દર્શન કરાવે છે. ત્યારે અરવલ્લીના માર્ગો પણ પદયાત્રીઓથી ઉભરાયા.
ભાદરવી પૂનમ એટલે મા અંબાનો પ્રાગટ્ય દિવસ. જગદંબાના પ્રાગટ્ય દિવસે 51 શક્તિપીઠ માની મુખ્ય અંબાજી શક્તિપીઠે લાખો પદયાત્રીઓ માતાજીના દર્શન માટે સંઘ લઈને આવે છે. આજથી અંબાજી મા ભાદરવીના મેળાનો પ્રારંભ થયો છે. ત્યારે અરવલ્લી જિલ્લામાંથી દાહોદ, જાલોદ, સંતરામપુર, ગોધરા, બોડેલી, છોટાઉદેપુર તરફના હજારો ગામોના લાખો ભક્તો સુંદર શણગારેલા કલાત્મક રથ અને ધજાઓ લઈને અરવલ્લીના માર્ગો પરથી પસાર થઈ રહ્યા છે. બોલ મારી અંબે જય જય અંબેના નાદ સાથે માલપુર, મોડાસા, મેઘરજ, બાયડ, ધનસુરા અને ભિલોડાના માર્ગો ગુંજી રહ્યા છે. ચાલતા ચાલતા પણ નાચતા કુદતા અને ગરબે ઘૂમતા જગદંબાના સાનિધ્યમાં જવા માટે અનોખી શ્રદ્ધા અને ઉત્સાહ ભક્તોમાં જણાઈ રહ્યો છે. આમ જગદંબાને શિષ જુકાવવા નીકળેલા પદયાત્રીઓથી અરવલ્લી જિલ્લાના તમામ માર્ગો ઉભરાયા છે.