
અરવલ્લી જિલ્લામાં ગણેશ સ્થાપના માટે પ્રદુષણ મુક્ત ઇકોફ્રેન્ડલી ગણપતિની મૂર્તિની ધૂમ માગ
સરકાર દ્વારા પ્લાસ્ટર ઓફ પેરીસની મૂર્તિઓ પર પ્રતિબંધ મુકાયો છે. ત્યારે ગણેશચતૂર્થી નિમિત્તે શ્રદ્વાળુઓમાં માટીની બનાવેલી ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ ખરીદાવાનું ચલણ વધ્યું છે. ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસામાં પ્રજાપતિ પરિવારો પર્યાવરણને નુકસાન ન પહોંચે તેવી ઇકોફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓ બનાવીને પર્યાવરણ પ્રેમને પ્રોત્સાહન આપી રહ્યા છે.હિંદુ ધર્મમાં તહેવારોનું અનેરું મહત્વ રહેલું છે. ગણેશ ચતૂર્થીના પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે મોડાસાના પ્રજાપતિ પરિવારો દ્વારા માટીમાંથી બનાવેલી ઇકોફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓ બનાવવાનું શરૂ કરી દીધું છે. પ્લાસ્ટર ઓફ પેરીસની મૂર્તિઓ પાણીમાં ઓગળતી નથી. જેથી માટીની ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓની માગ દિવસેને દિવસે વધી રહી છે. અરવલ્લી જિલ્લાના મોડાસામાં માટીકામ કરતા પ્રજાપતિ સમાજના મૂર્તિકારો ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવે છે.
આ ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવવા માટે કાળી અને સફેદ પ્રકારની માટીનો ઉપયોગ કરવામાં આવે છે. બન્નેનું મિશ્રણ કર્યા બાદ માટીને આકાર આપી ગણપતિજીની મૂર્તિ બનાવામાં આવે છે. મૂર્તિ સુકવ્યા બાદ તેના પર કલરકામ કરી શણગાર કરવામાં આવે છે. પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિ પાણીમાં વસર્જિત કર્યા બાદ તે પાણીમાં આગળતી નથી. જેને કારણે પર્યાવરણને પણ નુકશાન થાય છે. વળી મૂર્તિઓ પાણીમાં ઓગળતી ન હોવાથી તે પાણીમાં વિસર્જિત કર્યા બાદ દયનિય પરિસ્થિતિમાં તળાવ કે નદી કિનારે પડી રહેલી જોવા મળતી હોય છે.મૂર્તિકાર સચિન પ્રજાપતિ અને અન્ય મૂર્તિકારો ભક્તો માટે 1 ફૂટથી લઈ 4 ફૂટ સુધીની મૂર્તિઓ તૈયાર કરે છે. પર્યાવરણને નુકસાન ન થાય તે માટે ગણેશચતૂર્થી નિમિત્તે હવે ભક્તો પણ ઇકોફ્રેન્ડલી મૂર્તિ ખરીદવાનું પસંદ કરે છે. POPના વિકલ્પરૂપે માટીની બનાવેલી ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓની ભક્તો ખરીદી કરી ભક્તિની સાથે પર્યાવરણની સુરક્ષા કરે તે પણ જરૂરી બન્યું છે.