500 લોકો લગ્નમાં હાજરી આપી શકે તેવું જાહેરનામું બહાર પાડવા અરવલ્લી જિલ્લા મંડપ એસો.દ્વારા માંગ
અરવલ્લી જિલ્લામાં કોરોના વચ્ચે લગ્ન સીઝન સાથે સંકળાયેલા સાથે ધંધાર્થીઓ આજીવિકા માટે છેલ્લા એક વર્ષથી ઝઝૂમી રહ્યા છે. ત્યારે અરવલ્લી જિલ્લા મંડપ એસોસિએશન દ્વારા કલેક્ટરને વિવિધ માંગણીઓના પ્રશ્ને આવેદન આપ્યું હતું. આ પ્રસંગે મોડાસા, માલપુર, ધનસુરા, બાયડ, ભિલોડા અને મેઘરજ તાલુકામાંથી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. 500 જેટલા લોકો લગ્નમાં હાજરી આપી શકે તે બાબતનું જાહેરનામું બહાર પાડવાની માંગ કરી હતી.
જિલ્લા મંડપ એસોસિએશનના પ્રમુખ સુરેન્દ્રસિંહ રાઠોડ અને અન્ય ધંધાર્થીઓ દ્વારા આપેલા આવેદન મુજબ ટૂંક સમયમાં લગ્નની સિઝન શરૂ થવા જઈ રહી છે ત્યારે સરકાર તરફથી બહાર પાડવામાં આવેલી ગાઇડલાઇન મુજબ સંખ્યા ઘટતાં લગ્નમાં મંડપ, રસોઈયા, ડીજે સાઉન્ડ તેમજ અન્ય ધંધાર્થીઓ કામ ન મળવાના કારણે બેકાર બની ગયા છે. છેલ્લા એક વર્ષથી સદંતર ધંધા ચોપાટ થઈ જતા માર્કેટમાંથી લીધેલાં નાણાં પણ ચૂકવી શકાતા નથી. જિલ્લામાં 400 જેટલા નાના-મોટા મંડપ ડેકોરેટ વાળા પણ આર્થિક મંદીની અસરમાં સપડાયા છે. લોક માંગણીઓ ને ધ્યાને રાખીને અનુક્રમે 500 જેટલા લોકો લગ્નમાં હાજરી આપી શકે તે બાબતનું જાહેરનામું બહાર પાડવામાં આવે.