
મોડાસાના રાજેન્દ્રનગર-શામળાજી નેશનલ હાઇવે પર અકસ્માત સર્જાયો
ઘણી વખત ભયંકર અકસ્માતો થતા હોય છે. ત્યારે આવા અકસ્માતોમાં પણ વાહનચાલક સાથે કોઈ ચમત્કાર થયો હોય એમ એ બચી જતા હોય છે. એટલે જ કહ્યું છે કે જેને રામ રાખે એને કોણ ચાખે એ કહેવત અરવલ્લીમાં સાર્થક થતી હોય એવી ઘટના સામે આવી છે.વાત છે અરવલ્લીના મોડાસા તાલુકાના રાજેન્દ્ર નગર પાસે શમાલજી તરફના નેશનલ હાઇવેની આજે વહેલી સવારે 5:30 વાગ્યાના અરસામાં એક ટ્રક ચાલક ટ્રક લઈને શામળાજી તરફ પસાર થતો હતો. ટ્રકમાં ડ્રાઈવર અને કલીનર હતા. એવામાં એકાએક ટ્રક ડ્રાઈવરને ચાલુ ટ્રકે જોકું આવી જતા સ્ટિયરિંગ પરથી ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો હતો અને ટ્રક ડિવાઈડર પર ચડીને આગળ આવતા એક ગરનાળા સાથે ધડાકાભેર અથડાઈ હતી. ટ્રકના આગળના કેબિનનો અડધો ભાગ કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
અકસ્માત નજરે જોઈએ તો ડ્રાઈવર ક્લીનર બચી જ ના શકે, પરંતુ મોડાસા ફાયરને કોલ મળતા તરત જ મોડાસા પાલિકા ફાયરની ટીમ સ્ટાફ અને રેસ્ક્યુના સાધન સામગ્રી સાથે ઘટના સ્થળે દોડી આવીને પહેલા ટ્રકના ક્લીનરને સિફતપૂર્વક બહાર કાઢ્યો અને સારવાર અર્થે ખસેડાયો ત્યારબાદ ડ્રાઈવર એટલી ખરાબ રીતે ટ્રકના કેબિનમાં ફસાયો હતો કે તેને બહાર કાઢવો ખૂબ જ મુશ્કેલ હતો, પરંતુ મોડાસા ફાયરની ટીમ જાણે દેવદૂત બનીને આવી હોય એમ સિફતપૂર્વક કેબિનમાં ફસાયેલા ટ્રક ડ્રાઈવરને ટ્રક કેબિનના પતરા ગેસ કટરથી કાપીને બહાર કાઢ્યો હતો અને મોડાસા પાલિકા ફાયરની ટીમે બંનેને મોતના મુખમાંથી બચાવીને સારવાર અર્થે ખસેડ્યા હતા.