
અરવલ્લીના મેઘરજમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં મહિલાની લાશ મળી
અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના એક ગામે ત્યારે ચકચાર મચી ગઈ જ્યારે એક મહિલાની તેના જ ઘરેથી ગળેફાંસ લગાવેલી હાલતમાં લાશ મળી આવી હતી.ગુજરાતમાં હાલના દિવસોમાં ક્રાઈમની સાથોસાથ આપઘાતના બનાવો પણ ઘણાં વધી ગયા છે. અનેક લોકો જ્યારે પોતાની દૈનિક અથવા જિંદગીની સમસ્યાઓથી કંટાળી જતાં હોય છે અને તેમને તેમની મુશ્કેલીઓનો કોઈ ઉકેલ નથી મળતો ત્યારે તે આવું જિંદગીને ખતમ કરવાનું અંતિમ પગલું ભરવા તરફ ઉશ્કેરાતા હોય છે. પ્રાથમિક નજરે આવો જ એક આપઘાતનો કિસ્સો લાગતી ઘટના અરવલ્લીના મેઘરજ તાલુકાના સુરદેવી ગામેથી સામે આવી છે.
મેઘરજ તાલુકાના સુરદેવી ગામેથી એક મહિલાની તેના જ ઘરે ગળેફાંસો લગાવેલી હાલતમાં લાશ મળી આવતા ઘરની આસપાસના વિસ્તારમાં અને આખાયે ગામમાં સોપો પડી ગયો હતો. લોકોમાં મહિલાની આપઘાતની ઘટનાની જાણ થતા અને મૃતદેહ મળ્યું હોવાની ખબર ફેલાતા ગામમાં જાણે કે હડકંપ મચી ગયો હતો. આ મામલે પોલીસને જાણ થતાં પોલીસ સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો.મહત્વનું છે કે મૃતક મહિલાએ કયા કારણોસર આત્મહત્યા કરી એવી કોઈ જાણકારી હજુ સુધી સામે આવી નથી. આ ઘટના ખરેખર આત્મહત્યા જ છે કે કેમ આ વાતની પણ પોલીસ દ્વારા પુષ્ટિ થવાની હજુ બાકી છે. મહિલાના મૃતદેહની તપાસ કરી તેમજ ઘટનાસ્થળની વ્યવસ્થિત તપાસ પછી જ આ મામલે વધુ જાણકારી સામે આવી શકે તેમ છે. હાલ આ મામલે મેઘરજ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તપાસ શરૂ કરી દેવામાં આવી છે. નોંધનીય છે કે મહિલાના મોતને લઈને કોઈ અંતિમ ચિઠ્ઠી જેવી વસ્તુ પણ પોલીસને પ્રાપ્ત થઈ નથી. તેથી આ મામલે સત્ય તો પોલીસ તપાસ પછી જ સામે આવી શકે તેમ છે.