અરવલ્લી માં મોડાસાના સાયરાની ‘નિર્ભયા’ની ૫ દિવસ બાદ અંતિમક્રિયા, ફોરેન્સિક PM બાદ મા-બાપની તબિયત લથડતા મૃતદેહ સ્વીકાર્યો હતો
સાયરા(અમરાપુર) ગામની ૧૯ વર્ષીય કોલેજિયન ‘નિર્ભયા’ ૩૧મી ડિસેમ્બરે ગુમ થઈ હતી. રવિવારે સવારે સાયરા ગામની સીમમાં વડ પરથી લટકતી હાલતમાં લાશને ઉતારી હતી. પરંતુ તેની અંતિમક્રિયા કરાઈ ન હતી. અમદાવાદ ખાતે મંગળવારે રાત્રે લાશ ખસેડાઈ હતી અને બુધવારે ફોરેન્સિક પીએમ કરાયું હતું. જોકે, પરિવારજનો લાશ સ્વીકારતા ન હતા પરંત તેના માતાપિતાની તબીયત લથડતા મૃતદેહ સ્વીકાર્યો હતો અને તેના ગામમાં તેની અંતિમવિધિ કરાઈ હતી અને દફનવિધિ કરાઈ હતી.
બુધવારે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ફોરેન્સિક પીએમ પછી પરિવારજનોએ ફરિયાદમાં નામ નોંધાયેલા આરોપીઓની ધરપકડ કરવામાં આવે અને સીઆઈડી ક્રાઈમને તપાસ સોંપવામાં આવે પછી જ યુવતીનો મૃતદેહ સ્વીકારવાની માંગ પર અડગ રહ્યા હતા. બુધવારે સાંજે મૃતક યુવતીના માતા-પિતાની તબિયત લથડતા મૃતકના પરિવારજનો અને સગા-સંબંધીઓએ યુવતીની અંતિમક્રિયા કરવાનું નક્કી કરી બુધવારે રાત્રે પોલીસ રક્ષણ સાથે યુવતીનો મૃતદેહ માદરે વતન લઈ આવ્યા હતા.
આજે ગુરુવારે સવારે યુવતીની અંતિમ ક્રિયા કરવામાં આવી હતી. ‘નિર્ભયા’ની અંતિમ યાત્રામાં હજારોની સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. અશ્રુભીની આંખે વિદાય આપી પીડિત પરિવારને પોલીસ રક્ષણ ન્યાય ન મળે ત્યાં સુધી આપવામાં આવ તેવી માંગ સાથે આક્રોશપૂર્વક દુષ્કર્મી અને તેના હત્યારાઓને ઝડપથી પકડી જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે અને કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવી ગુનેગારોને ફાંસીની સજા કરવામાં આવી હોવાની માંગ કરી હતી. હજુ પણ મોડાસામાં અજંપાભરી સ્થિતિનું નિર્માણ યથાવત રહ્યું છે. પોલીસતંત્રએ સમગ્ર શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે.
મૃતક યુવતીના પરિવારજનોએ આરોપી ન પકડાય ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારે તેવી ચીમકી ઉચ્ચારી છે. ઉપરાંત પરિવારજનોએ સિવિલ હોસ્પિટલની બહાર સરકાર અને પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. મોડાસા-સાયરા ગેંગ રેપને લઇને મોટી સંખ્યામાં યુવાઓ ભેગા થયા હતા. યુવાઓએ રોડ બંધ કરી વિરોધ કર્યો હતો. ન્યાયની માગણી સાથે યુવાઓ રોડ પર સૂઈ ગયા હતા. સવારથી સિવિલ હોસ્પિટલના પીએમ રૂમ પાસે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. લોકોની ભીડને જોતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
મોડાસાના સાયરા(અમરાપુર)ની પાંચ દિવસથી ગુમ યુવતીની લાશ ઝાડ પર લટકતી હાલતમાં રવિવારે લાશ મળી આવતાં યુવતીના પરિજનો તથા અનુસૂચિત જાતિ સમાજે આરોપીઓ સામે દુષ્કર્મ અને હત્યાનો ગુનો નોંધ્યા પછી જ લાશ સ્વીકારવાની માંગ કરી હતી. પણ પોલીસે માંગણી ન સ્વીકારતાં અનુસૂચિત જાતિ સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો અને સોમવાર ૬ જાન્યુઆરીએ સમાજે મોડાસામાં ચક્કાજામ અને પીએચસીની બહાર આખી રાત ધરણા કરી પોલીસ સામે આક્રોશ દર્શાવ્યો હતો. જેના પગલે મોડાસામાં તંગદિલી સર્જાતાં વાતાવરણ તંગ બન્યું હતું અને મોડાસા પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયું હતું. મંગળવારે પોલીસે સમાજનો આક્રોશ જોઇ ચાર વિરુદ્ધ, અપહરણ, દુષ્કર્મ, હત્યા અને એટ્રોસિટી એક્ટ મુજબ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશને ગુનો નોંધી તપાસ એસટી એસસી સેલ ના ડીવાયએસપી ગઢવીને સોંપી હતી. અનુસૂચિત જાતિ સમાજની અડગ માંગ સાથે આઈજીએ સમાજના અગ્રણીઓ અને ધારાસભ્ય જશુભાઇ પટેલ અને રેવાભાઇ ચમાર અને કેવલસિંહ રાઠોડ સાથે બેઠક કરી સમાધાનકારી વલણ દાખવ્યુ હતુ.
બિમલભાઈ ભરતભાઇ ભરવાડ (રહે બાજકોટ તા.મોડાસા જિ.અરવલ્લી)
દર્શન ભરવાડ (રહે પીપરાણા તા. માલપુર જિ. અરવલ્લી)
સતિષભાઈ ભરવાડ (રહે રમાણા તા.ધનસુરા જિ.અરવલ્લી)
જીગર (રહે ગાજણ તા.મોડાસા. જિ અરવલ્લી)