દિલ્હીના ઓખલામાં આવેલા ઔધોગિક વિસ્તારની આ ઘટના છે. જેમાં એક ગારમેન્ટ ફેક્ટરીના માલિક પર કેસ નોંધવામાં આવ્યો છે. તેમની જ કંપનીમાં અગાઉ કામ કરનાર એક વ્યક્તિને સળગાવીને મારી નાખવાનો આરોપ લાગ્યો છે. છેલ્લા અઢાર વર્ષથી તેની ફેક્ટરીમાં કામ કરનાર એક વ્યક્તિને નોકરીમાંથી છૂટો કરવામાં આવ્યો હતો. નોકરીમાંથી હાથ ધોનાર આ રાકેશ નામનો કર્મચારી છેલ્લા કેટલાય સમયથી પોતાનો બાકી પગાર લેવા માટે ધક્કા ખાતો હતો. જો કે એક દિવસ તે શેઠની ઓફિસમાં તો ગયો હતો પણ બહાર સળગતો સળગતો આવ્યો હતો. જેનો વીડિયો પણ વાઈરલ થયો હતો. રાકેશ ગંભીર હાલતમાં દાઝી જતા અત્યારે દવાખાનામાં જીવનમરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. રાકેશના પરિવારના કહેવા મુજબ ઓફિસમાં પોતાના બાકી પગારના રૂપિયા લેવા ગયેલ રાકેશને અન્ય ચાર લોકોએ પેટ્રોલ છાંટીને સળગાવીને મારી નાખવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઘટના બાદ ફરાર થઈ ગયેલા ફેક્ટરીના માલિકને શોધવા માટે પોલીસે કામગીરી પણ હાથ ધરી હતી.