પાલનપુર ૨-બનાસકાંઠા લોકસભા સીટ પર રાજકીય પ્રચાર તેજ બન્યો છે. ત્યારે ડીસા ખાતે મંગળવારે યોજાયેલા એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા પ્રદેશના પૂર્વ પ્રમુખે નરેન્દ્ર મોદીને આડે હાથ લઇ અભદ્ર ટિપ્પણી કરી હતી. જેની ગંભીર નોંધ લઈ બનાસકાંઠા જિલ્લા કલેકટરે અર્જુન મોઢવાડિયાને નોટિસ ફટકારતા ચકચાર મચી જવા પામી છે. લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય આક્ષેપો-પ્રતિઆક્ષેપોના દોર વચ્ચે નેતાજીઓ બેફામ વાણી વિલાસ કરી રહ્યા છે. ડીસા ખાતે મંગળવારે યોજાયેલા એક કાર્યક્રમમાં પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે મોદી સરકારને જુમલેબાદ સરકાર ગણાવી હતી. તેમણે જણાવ્યું હતુ કે, ભાજપ દ્વારા ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં બહાર પડાયેલા ચૂંટણી ઢંઢેરામાં આપેલા વચન મુજબ સરકારે એક પણ વાયદો પૂરો કર્યો નથી. દેશના દરેક નાગરિકના ખાતામાં રૂપિયા ૧૫ લાખ આવશે તેમ કહી સમગ્ર દેશની પ્રજાને ગુમરાહ કરી સત્તા મેળવ્યા બાદ મોદી સરકાર ઉધોગપતિઓના સરકાર બની ગઈ છે.
જ્યારે પ્રદેશ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અર્જુનભાઈ મોઢવાડિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે અયોગ્ય વાક્ય પ્રયોગ કર્યા હતા. આ અંગે સુમાહિતગાર સૂત્રોએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે ટિપ્પણી કરનારા અર્જુન મોઢવાડિયાને બનાસકાંઠા જિલ્લા કલેકટર સંદીપ સાગલેએ સુઓમોટો દાખલ કરી નોટિસ ફટકારી છે.