ગુજરાત સરકારના પૂર્વ દિગ્ગજ નેતા અને રાજ્ય સરકારના પૂર્વ મંત્રી શંકરભાઇ ચૌધરીને ગત વર્ષે યોજાયેલી વિધાન સભાની સામાન્ય ચૂંટણીમાં પરાસ્ત કરનાર ગેનીબેન ઠાકોર કોર્ટને લઈ કરેલા નિવેદનને પગલે વિવાદમાં સપડાઈ ગયા છે. આ વિવાદિત નિવેદનને પગલે વાવ કોર્ટ દ્વારા આજે ગેનીબેનને તેમનો જવાબ રજૂ કરવા અંગે નોટિસ ફટકારી કોર્ટ સમક્ષ હાજર રહેવા ફરમાન કરવામાં આવ્યું હતું. નેતાઓની જીબ લપસે તે વાત હવે સામાન્ય બનતી જઇ રહી છે. એક પછી એક નિત નીત નવા નિવેદનને લઈ રાજકીય નેતાઓ વારંવાર વિવાદ સર્જી દેતા હોય છે. ત્યારે તાજેતરમાં જ ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અને વાવ-ભાભર વિધાનસભાના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર દ્વારા ન્યાય મંદિરને લઇ કરવામાં આવેલા નિવેદને ગેનીબેન ઠાકોરની મુશ્કેલી વધારી દીધી છે. તાજેતરમાં ગેનીબેન ઠાકોર દ્વારા જાહેરમાં નિવેદન કરવામાં આવ્યું હતું કે કોર્ટો પણ હવે સરકારના ઈશારે ચાલી રહી છે. જે બાબતે વાવ કોર્ટે ગેનીબેન ઠાકોર પર ફટકાર લગાવી છે અને ગેનીબેન ઠાકોરે કરેલા આ વિવાદિત નિવેદન અંગે વાવ કોર્ટ દ્વારા ખુલાસો માંગવામાં આવ્યો છે.
જેને પગલે આજે ગેનીબેન ઠાકોરને કોર્ટમાં પોતે કરેલા વિવાદિત નિવેદન અંગે ખુલાસો આપવા આવવાનું હતું પરંતુ મોડી સાંજ સુધી ગેનીબેન ઠાકોર ખુલાસો આપવા વાવ કોર્ટ પહોંચ્યા નહોતા અનેપોતે કરેલા વિવાદિત નિવેદન અંગે પોતાના વકીલ મારફત બિનશરતી લેખિતમાં માફી માંગીને કોર્ટ સમક્ષ માફીનામું રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારે હવે જોવાનું એ રહે છે કે વાવ કોર્ટ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર દ્વારા લેખિતમાં રજૂ કરવામાં આવેલું બિન શરતી માફીનામું મંજુર કરશે કે ગેનીબેન ઠાકોરને રૂબરૂમાં કોર્ટ સમક્ષ હાજર રહેવા ફરમાન કરશે તે જોવું રહ્યું...?