અયોધ્યા જમીન વિવાદ મામલે સુપ્રીમ કોર્ટ થોડા દિવસમાં નિર્ણય સંભળાવે તેવી શક્યતા છે. આ ચુકાદાને ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશ સહિત ઘણાં રાજ્યોમાં ખાસ તૈયારી કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશના મોટા ભાગના જિલ્લામાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે અને અયોધ્યા સાથે જોડાયેલા કોઈ પણ કાર્યક્રમ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત અયોધ્યાના જિલ્લા આંબેડકરનગરની ઘણી સ્કૂલોમાં 8 અસ્થાઈ જેલ બનાવવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સાંસદો અને મંત્રીઓને તેમના વિસ્તારમાં જ રહેવાનો આદેશ આપ્યો છે.
પીએમએ તેમના સાંસદ મંત્રીઓને શાંતિ રાખવાનો આદેશ આપ્યો છે. તે સાથે જ દેશના અલગ અલગ શહેરોમાં પ્રશાસન પણ કડક થઈ રહ્યું છે. શહેરોમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. આ ઉપરાંત પ્રશાસનિક અધિકારી અલગ અલગ શહેરોમાં ધર્મોના પ્રતિનિધિઓ સાથે બેઠક કરીને શાંતિનો સંદેશો આપી રહ્યા છે. દરેક ક્ષેત્રે એવા પ્રયત્નો થઈ રહ્યા છે કે, અયોધ્યા વિવાદના ચુકાદા પછી દેશમાં શાંતિ જળવાયેલી રહે.
ઉત્તર પ્રદેશમાં સોશિયલ મીડિયા પર નજર રાખવા માટે એક ખાસ ટીમ બનાવવામાં આવી છે. ડીજીપી હેડ્ક્વાર્ટર પર સોશિયલ મીડિયા મોનિટરની ટીમ બનાવવામાં આવી છે. આ ટીમની આગેવાની સાઈબર ક્રાઈમના આઈજી અશોક કુમાર સિંહ કરી રહ્યા છે. આ ટીમની જવાબદારી સાંપ્રદાયિક વાતાવરણ ખરાબ કરનાર લોકોને ઓળખી કાઢવાની છે. આ ટીમે છેલ્લા 15-20 દિવસમાં 72 લોકોની ધરપકડ કરી છે.
શાહજહાંપુરમાં પણ ડીઆઈજી અને જિલ્લાના સીનિયર અધિકારીઓએ શહેરના ખાસ લોકો સાથે શાંતિનો સંદેશ આપતી બેઠક કરી છે. અહીં ડીઆઈજીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, તોફાની અને હિંસક તત્વોને કોઈ પણ સ્થિતિમાં સહન નહીં કરી શકાય. તેમણે શહેરના લોકોને શાંતિ માટેની અપીલ કરી છે. પ્રયાગરાજમાં પણ પોલીસના સીનિયર અધિકારીઓએ મુસ્લિમ ધર્મગુરુઓ અને સનાતમ ધર્મને માનનારા ગુરુઓ સાથે બેઠક કરી હતી. બંને વર્ગોએ પ્રશાસનને શહેરની શાંતિ વ્યવસ્થા જાળવી રાખવા માટે અપીલ કરી છે.
અયોધ્યાના ઘણાં જિલ્લામાં પોલીસ ફોર્સ તહેનાત કરવામાં આવી છે. દરેક જગ્યાએ સુરક્ષા વધારી દેવામાં આવી છે. ઉત્તર પ્રદેશના મોટા ભાગના જિલ્લામાં સંવેદનશીલ સ્થળોની ઓળખ કરી લેવામાં આવી છે અને તે સાથે જ દરેક જિલ્લામાં શંકાસ્પદ લોકોની ઓળખ પણ કરી લેવામાં આવી છે. યોગી સરકારે પોલીસ પ્રશાસનના દરેક અધિકારીઓની રજા 30 નવેમ્બર સુધી રદ કરી દીધી છે. તેમને હેડક્વાર્ટર પર જ રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે.
પોલીસની ખાસ નજર સોશિયલ મીડિયા પર છે. અયોધ્યા વિશે નિર્ણયને ધ્યાનમાં રાખીને સોશિયલ મીડિયા ગાઈડલાઈન પણ જાહેર કરવામાં આવી છે. નિર્ણયનો વિરોધ અથવા સમર્થનની ઉજવણી કરનાર પોસ્ટ અથવા મેસેજ મોકલવાનો પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. તે સાથે જ શહેરોમાં અયોધ્યા સાથે જોડાયેલા કોઈ પોસ્ટર અથવા બેનર લગાવવામાં નહીં આવે. અયોધ્યા પોલીસે સોશિયલ મીડિયા વિશે વાંધાજનક ટીપ્પણીઓ પર નજર રાખવા માટે 16 હજાર સ્વયંસેવકો તહેનાત કર્યા છે.
ઉત્તરપ્રદેશ શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડે વક્ફ બોર્ડ આધારિત સ્થાનિક જગ્યાઓ જેવી કે ઈમામબાડા, દરગાહ, કાર્યાલય, કબ્રિસ્તાન, મજાર વગેરે વિશે અયોધ્યા મામલે કોઈ પણ પ્રકારના ભાષણ અથવા ધરણાં-પ્રદર્શનનું આયોજન કરવા માટે પ્રતિબંધ લગાવ્યો છે. જો કોઈ આ આદેશનું ઉલ્લંઘન કરશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ મામલે મુસ્લિમ સંગઠનોના ઘણાં અધિકારી, મૌલવી અને બુદ્ધીજીવીયો સાથે બેઠક પણ કરવામાં આવી છે.