ઉત્તર ગુજરાતમાં છેલ્લા આઠ માસમાં સ્વાઈન ફલૂના ૨૨ કેસો મળ્યા બાદ વડગામના કોદરામની મહિલાનું ગત રવિવારે સારવાર દરમિયાન અમદાવાદની સિવિલમાં મોત થતા તાલુકામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. જ્યારે તાલુકાના કોદરામમાં વધુ એક શંકાસ્પદ કેસ મળતા તંત્ર એલર્ટ થઈ સર્વે હાથ ધર્યો હોવાનું જાણવા મળે છે.
કોદરામના માજી સરપંચના પત્ની સહીત કેટલાક લોકો હરિદ્વારની યાત્રા ઉપર ગયા હતા તે દરમિયાન મહિલા વાયરલ ફીવરની ચપેટમાં આવ્યા બાદ સારવાર દરમિયાન સ્વાઈન ફલપોઝીટીવ આવ્યાનું જણાતા અમદાવાદ સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા જયાં સારવાર દરમિયાન તેઓનું મોત થયુ હતું. જોકે વધુ એક શંકાસ્પદ સ્વાઈન ફલૂનો કેશ કોદરામમાંથી મળી આવતા વડગામ આરોગ્ય વિભાગ હરકતમાં આવી કોદરામ સહિત તાલુકાના તમામ ગામોમાં સર્વે હાથ ધર્યો હતો. સર્વેમાં ૨૦૦ જેટલી આશા વર્કરો ૭૦ જેટલા આરોગ્ય વર્કરો આરોગ્ય અધિકારીઓ કામે લગાડયાની સાથે શંકાસ્પદ લોકોને શોધી કાઢી કેટેગરી મુજબ જરૂરી દવાઓ આપવા સહિત વિવિધ સૂચનાઓ આપી હોવાનું બી.એચ.ઓ.વિક્રમ ગઢવીએ જણાવ્યું હતું. તાલુકામાં શરદી ખાંસી તાવ ગળામાં દુખાવા જેવા લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા પણ આરોગ્ય અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે.