ચાઈનાથી પરત ફરેલા બનાસકાંઠા જિલ્લાના ૯૭ છાત્રો સંપૂર્ણ સ્વસ્થ
રખેવાળ ન્યુઝ પાલનપુર : ચાઈનામાં કોરોના વાયરસથી હાહાકાર મચી જવા પામ્યો છે. જ્યાં અભ્યાસ અર્થે ગયેલા બનાસકાંઠાના ૯૭ છાત્રો સહી સલામત રીતે પોતાના વતનમાં પરત આવી ગયા છે. જેઓ સંપૂર્ણ રીતે સ્વસ્થ છે. દરમિયાન તકેદારીના ભાગરૂપે જિલ્લા આરોગ્ય વિભાગની ટીમો સતત તેમના સંપર્કમાં રહી આ છાત્રોના આરોગ્યની કાળજી લઈ રહી છે. ચાઇનામાં કોરોના વાયરસ ઝડપથી પ્રસરી રહ્યો છે. જ્યાં રહેતા ભારતીય નાગરિકો દેશમાં પરત ફરી રહ્યા છે. જેમાં બનાસકાંઠા જિલ્લાના વિધાર્થીઓનો પણ સમાવેશ થયો છે. બનાસકાંઠા જીલ્લામાંથી ૯૭છાત્રો ચાઇનામાં અભ્યાસ અર્થે ગયા હતા. જોકે, કોરોના વાયરસના આક્રમણના કારણે તેઓ છેલ્લા પંદર દિવસથી પોતાના વતન તરફ આવી રહ્યા છે. આ અંગે બનાસકાંઠા જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મનિષ ફેન્સીએ જણાવ્યું હતુ કે, બનાસકાંઠા જિલ્લાના કુલ ૯૭ છાત્રો ચાઇનાથી પરત ફર્યા છે. જે પૈકી ૮૫ છાત્રો તેમના ઘરે પહોચી ગયા છે. બાકીના અમદાવાદ સહિતના શહેરોમાં તેમના સગા- સબંધીને ત્યાં રોકાયા છે. જેઓ પણ ટુંક સમયમાં ઘરે પરત આવી જશે. જોકે, સૌથી સારી બાબત એ છે કે, ચાઇનાથી પરત ફરેલા તમામ છાત્રો સંપૂર્ણ સ્વાસ્થ છે. તેઓ જ્યારે ચાઇના એરપોર્ટ ઉપર ગયા ત્યારે અને તે બાદ મુંબઇ, અમદવાદ સહિતના એરપોર્ટ ખાતે પણ સ્વાસ્થય સબંધી તપાસ કરવામાં આવી હતી. જે બાદ તમામને પાલનપુર ખાતે સિવિલ હોસ્પિટલમાં ઉભા કરાયેલા વોર્ડ ખાતે પણ તપાસ કરી તેમના ઘરે મોકલવામાં આવ્યા છે. તેમ છતાં આ છાત્રો સાથે જિલ્લાનું આરોગ્ય તંત્ર સતત સંપર્કમાં છે. અને તેમના સ્વાસ્થયની તકેદારી રાખવામાં આવી રહી છે.