થરાદ એસ.ટી. ડેપોમાં ફરજ બજાવતા કંડક્ટર દશરથભાઈ ચૌહાણે લાખણી તાલુકાના લાલપુર ગામના સરપંચની અગત્યના દસ્તાવેજ ભરેલી બેગ સહી સલામત પરત કરી પ્રમાણિકતાનું પ્રેરક ઉદાહરણ પુરૂ પાડ્યું છે.
આજના હળાહળ કળીયુગમાં લોકોમાં હરામનું પડાવી લેવાની વૃતિ ઘર કરી ગઈ છે. પરંતુ કેટલાક વિરલા આજે પણ “પારકુ ધન પથ્થર” સમજી પ્રમાણિકતાની જ્યોત જલતી રાખી રહ્યા છે. ત્યારે લાખણી તાલુકાના સરપંચ તલાજી ઠાકોર ગ્રામ પંચાયતના કામ અર્થે જિલ્લા મુખ્યાલય પાલનપુર ગયા હતા. જ્યાં કામ પતાવી સાંજના સુમારે પાલનપુરથી બસ દ્વારા લાખણી આવ્યા હતા. પરંતુ ઉતાવળમાં ગ્રામ પંચાયતના અગત્યના કાગળો ભરેલી બેગ બસમાં ભુલી ગયા હતા. જેથી ઘરે પહોંચી તેઓ હાંફળા - ફાંફળા બની ડેપોનો સંપર્ક કર્યો હતો. જેના પગલે બસના કંડક્ટર દશરથભાઈ ચૌહાણે (બેજ નં.૩૪૧) તેમની બેગ સહી - સલામત હોવાનું જણાવી થરાદથી પરત લાખણી આવેલ બસ દરમિયાન બસ સ્ટેન્ડમાં તેમની બેગ સહી સલામત રીતે તેમને સુપ્રત કરી દીધી હતી. પ્રમાણિકતાના પુજારી એવા કંડક્ટર દશરથભાઈ ચૌહાણે અગાઉ પણ બસમાં ભુલી ગયેલ ૪૦ હજાર રોકડા અને એક મોબાઈલ ભરેલી બેગ મુળ માલિકને પરત કરી હતી. તેમની પ્રમાણીકતાને સાથી કર્મચારીઓએ મન ભરીને બિરદાવી હતી.