પાલનપુર : બનાસકાંઠાની લોકસભાની બેઠક પર થરાદના ધારાસભ્ય અને રાજ્યસરકારના મંત્રી પરબતભાઇ પટેલની પસંદગી બાદ તેમની ઐતિહાસિક જીત થતાં તેમની બેઠક ખાલી થવા પામી હતી. નિયમ પ્રમાણે છ મહિનામાં પેટા ચુંટણી યોજવાની થાય છે. આમ આગામી સમયમાં યોજાનારી આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસમાંથી કયા ઉમેદવારની પસંદગી થશે. તેની અનેક અટકળો ચાલી રહી છે. જેને લઇને રાજકીય ગરમાવો પણ વેગીલો બન્યો હતો. જો કે આ વખતે પણ કોંગ્રેસ પાસે અનેક દાવેદારો છે,પણ ભાજપમાં સતત સાત ટર્મથી ચુંટણી લડેલા અને પાંચ વખત જીતેલા પરબતભાઇ પટેલ પછી કોઇ દાવેદાર નહી હોઇ કોણ હશે નવો ચહેરો તેને લઇને અનેક ચર્ચાઓ જામી રહી હતી. થરાદની ખાલી પડેલી બેઠક પર વાવના પુર્વ ધારાસભ્ય શંકરભાઇ ચૌધરી, માર્કેટ યાર્ડના સેક્રેટરી ભેમજીભાઇ પટેલ, પરબતભાઇ પટેલના બંન્ને પુત્રો શૈલેષભાઇ પટેલ અને મહેશભાઇ પટેલ તથા દિનેશભાઇ બારોટ, તાલુકા ભાજપના પ્રમુખ રૂપસીભાઇ પટેલ સહિત અનેક નામો ધીમે ધીમે ચર્ચામાં આવી ઉભરી રહ્યાં હતાં.
જેની વચ્ચે સોમવારે થરાદ તાલુકાના ઘેસડા ગામમાં પુર્વ સાંસદ હરીભાઇ ચૌધરીની સાડાચાર લાખની ગ્રાંટની મદદથી બનેલા કામ્યુનીટી હોલનું બનાસ બેંકના ડિરેક્ટર શૈલેષભાઈ પરબતભાઇ પટેલના હસ્તે રિબીન તથા કલાકનું ૫૦૦ લીટર પાણીને મિનરલ બનાવે તેવા આરો મશીનની ભેટ સરપંચ જેતસીભાઈ પટેલ દ્રારા અપાતાં તેનું પણ લોકાર્પણ કરાયું હતું. જેમાં તાલુકા ભાજપના પુર્વ પ્રમુખ અને તાલુકા પંચાયતના પ્રમુખના પતિ ઉમેદસિંહ ચૌહાણ, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ દાંનાજી માળી, તાલુકા ભાજપ પ્રમુખ તેમજ જીલ્લા ડેલીકેટ રૂપસીભાઈ પટેલ, જિલ્લા ભાજપના પુર્વ કોષાધ્યક્ષ ઓખાભાઈ પટેલ, સરપંચ એશોશીયન પ્રમુખ કાળુભાઈ પટેલ, ઘેસડા ગૃપ ગ્રામપંચાયતના સરપંચ જેતસીભાઇ પટેલ,વિરભાણાભાઇ પટેલ તથા તાલુકા વિકાસ અધિકારી સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે માર્કેટયાર્ડના ડીરેક્ટર અને ગ્રામપંચાયતના સરપંચ જેતસીભાઇ પટેલ દ્રારા ભાજપના અગ્રણીઓ અને પ્રજા વચ્ચે થરાદના ધારાસભ્ય અને જિલ્લાના સાંસદ પરબતભાઇ પટેલના પુત્ર શૈલેષભાઈ પટેલની ભાજપના ભાવિ ધારાસભ્યના દાવેદાર અને યુવા નેતા તરીકે જાહેરાત કરવામાં આવી હતી. તેમજ તેમને સમર્થન આપવા અપીલ પણ કરી હતી. જેને જિલ્લા ભાજપના પુર્વ કોષાધ્યક્ષ ઓખાભાઈ પટેલે આવકારી સમર્થનમાં તેમના નામને ભાજપના જિલ્લાના માળખા દ્રારા પ્રદેશ સુધી મોકલીશું તેમ પણ જણાવ્યું હતું. આમ બનાસકાંઠાના સરહદી થરાદ વિધાનસભાની પેટાચુંટણી માટે સમાજના અન્ય અગ્રણીઓના નામની ચર્ચાઓ હતી. તેના પર પુર્ણવિરામ મુકાઈ જવા પામ્યો હતો. શૈલેષભાઇ પટેલે શ્રી ગોદડપુરી મહારાજના દર્શન પણ કરી મનોમન આર્શિવાદ પણ પ્રાપ્ત કર્યા હતા.