હાર્દિકના સમર્થનમાં રામધૂન-પ્રતિક ઉપવાસ કરતાં પાટીદારોની અટકાયત
મહેસાણા
ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ શાંત પડી ગયેલું પાટીદાર અનામત આંદોલન હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસને લઇ ફરી સક્રિય બની રÌšં છે. આજે શીતળા સાતમના તહેવાર વચ્ચે પાટીદારોએ હાર્દિકના સમર્થનમાં મહેસાણામાં રામધૂન બોલાવી હતી. શહેરના ટહુકો પાર્ટી પ્લોટ નજીક ઉપવાસ અને રામધૂનનો કાર્યક્રમ આપતા પોલીસે મહેસાણાના પાસ કન્વીનર સુરેશ ઠાકરે, સતીશ પટેલ અને નરેન્દ્ર પટેલની અટકાયત કરી હતી. આ ઉપરાંત અન્ય પાટીદારો મળીને કુલ ૧૪ની અટકાયત કરી હતી.
હાર્દિકના સમર્થનમાં મહેસાણા ટહુકો પાર્ટી પ્લોટ નજીક પાટીદારોએ એક દિવસના પ્રતિક ઉપવાસ અને રામધૂનનો કાર્યક્રમ યોજી સરકાર સામે પોતાનો રોષ ઠાલવ્યો હતો. પરંતુ પ્રતિક ઉપવાસ અને રામધૂનના કાર્યક્રમને પોલીસે પરવાનગી આપી ન હતી. છતાં કાર્યક્રમ યોજવા જતાં તેમની અટકાયત કરવામાં આવી હતી.