દિયોદરમાં વેપારી પેઢીમાં થયેલી રૂ.૨૦ લાખની લૂંટના આરોપી ઓને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લીધા છે. જેમાં દુકાન માલિકને ચૂનો લગાવવા જતા મુનિમજીને જેલની હવા ખાવાનો વારો આવ્યો છે.
બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાં ગઈકાલે રામેશ્વર વેપાર કેન્દ્ર મા ભરબપોરે રૂ. ૨૦ લાખની લૂંટ થઇ હતી. દુકાનના મુનિમજીની આંખમા મરચાની ભૂકી નાખી અને ૨ અજાણ્યા ઈસમોએ રૂ.૨૦લાખની લૂંટને અંજામ આપ્યો હતો. જોકે, દિયોદર પોલીસે ઘટનાસ્થળે જઇ ગણતરીના કલાકોમા લૂંટના ૨ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આરોપીઓની પૂછપરછમાં દુકાનના મુનિમજી જ લૂંટ ના મુખ્ય સૂત્રધાર નીકળ્યા હતા. દુકાનના મુનિમજીએ શેઠને ચૂનો લગાવવા લૂંટ નો પ્લાન બનાવ્યો હતો. મોટી રકમની લૂંટને મુનિમજીએ પ્રી-પ્લાનથી અંજામ આપ્યો હતો.
ગઈકાલે જ્યારે દુકાનના શેઠ ઘરે જમવા ગયા હતા. ત્યારે પ્લાન મુજબ મુનિમજીના મિત્રએ ભરબપોરે દુકાનમાં આવીને મુનિમજીની આંખમાં મરચું નાખ્યું હતું. અને મુનિમજીની પાસે પડેલો ૨૦ લાખ રૂપિયા ભરેલો થેલો લઇને ફરાર થઈ ગયો હતો. જોકે,પોલીસે દુકાનમાં સીસીટીવી ચકાસતા મુનિમજીની વર્તણુક શંકાસ્પદ લાગી હતી અને પોલીસે કડક પૂછપરછ કરતા આખરે મુનિમજી ભાંગી પડ્યા હતા. તેઓએ પેસાની જરૂરિયાતમા આ તરકટ કર્યું હોવાનું કબુલ્યું હતુ.