પાલનપુરમાં પરિવાર ધાબા પર સૂતો રહ્યો અને તસ્કરો રૂ.૫.૫૦ લાખની ચોરી કરી ફરાર
પાલનપુર
જિલ્લા મુખ્યાલય પાલનપુરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. તસ્કરોએ એસ.પી. બંગલોઝથી અંદાજે પાંચસો મીટર દૂરના અંતરે આવેલા મકાનમાં ચોરી કરી પોલીસને ખુલ્લો પડકાર ફેંકતા રાજકમલ સોસાયટીના રહેણાક મકાનમાં લાખોની ચોરી કરી હતી. પાલનપુરમાં રાજકમલ સોસાયટીમાં ૫૩ નંબરના મકાનમાં રહેતા શૈલેશભાઈના પરિવારને ધાબા ઉપર ઊંઘતો રાખીને તસ્કરોએ નીચે મકાનના દરવાજાના તાળાં તોડી લાખોની ચોરીને અંજામ આપ્યો હતો. રોકડ રકમ અને દાગીના સહિત રૂ. સાડા પાંચ લાખ ઉપરાંતની ચોરી તસ્કરોએ કરી હતી. ત્યારે રાજકમલ સોસાયટીના રહીશોમાં આ ચોરીને લઈને સ્થાનિકોમાં ફફડાટ વ્યાપ્યો હતો. જોકે, ચોરીની જાણ થતાં સવારે પોલીસે ઘટના સ્થળે આવી હતી અને ડોગસ્કવોડ દ્વારા પણ તપાસ કરી હતી પરંતુ ચોરોનો કોઇ સુરાગ મળ્યો નહોતો.
પાલનપુરમાં તસ્કરો બેફામ બન્યા છે ત્યારે વડગામના મેમદપુરમાં પણ તસ્કરોએ ત્રણ મંદિરને ટાર્ગેટ બનાવીને ચોરી કરી હતી. જોકે બનાસકાંઠામાં દિનપ્રતિદિન ચોરીઓનું પ્રમાણ વધતું જાય છે તસ્કરો બેફામ બન્યા છે ત્યારે તેમને નાથવા હવે પોલીસે કડક થવાની જરૂર છે.