રાધનપુર : રાધનપુરના પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના સિમ્બોલ ઉપર જંગી બહુમતીથી ચૂંટાઈ આવ્યા હતા,પરંતુ બે વર્ષ ધારાસભ્યપદે રહ્યા બાદ કોંગ્રેસ સાથે મનમેળ ના રહેતા રાધનપુરના ધારાસભ્યપદેથી રાજીનામુ આપીને ભાજપમાં જોડાઈ ગયા હતા.હવે પેટાચૂંટણી આવી રહી છે ત્યારે અલ્પેશ ઠાકોર ફરી એકવાર રાધનપુર બેઠક ઉપરથી ચૂંટણી લડે તેવા અણસાર વર્તાઈ રહ્યા છે.શહેરના મહેસાણા હાઇવે ઉપર અલ્પેશ ઠાકોરના નામનું મોટું બોર્ડ મારવામાં આવ્યું છે, જેમાં રાધનપુર વિધાનસભા વિસ્તારમાં આપનું સ્વાગત છે તેવું લખાણ લખવામાં આવ્યું છે.
રાધનપુર પંથકના રાજકીય વર્તુળોમાં ચર્ચાતી વાતો અનુસાર આ બેઠક ઉપરથી રાજ્યના પૂર્વ મંત્રી શંકરભાઇ ચૌધરી અને પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના નામો ભાજપના ઉમેદવાર તરીકે ઉપસી આવ્યા છે.શંકરભાઇ ચૌધરીનો ગત વિધાનસભાની ચૂંટણીમાં વાવ બેઠક ઉપરથી કોંગ્રેસના ગેનીબેન ઠાકોર સામે પરાજય થયો હતો.અને રાધનપુર વિધાનસભા બેઠકના મતદારો હવે એવું ઈચ્છી રહ્યા છે કે રાધનપુર બેઠક ઉપર પંદર વર્ષ સુધી ધારાસભ્ય તરીકે રહી ચુક્યા છે, અને લોકોને તેમના પ્રત્યે લાગણી પણ છે કે ફરીથી એકવાર શંકરભાઇ ચૌધરી રાધનપુર બેઠક ઉપરથી ચૂંટણી લડે.જો કે પ્રદેશ ભાજપના અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ શનિવારે એવું નિવેદન આપ્યું હતું કે અલ્પેશ ઠાકોર રાધનપુરથી જ ચૂંટણી લડ્યા છે.તો આનો મતલબ એવો થાય કે ફરીથી અલ્પેશ ઠાકોર રાધનપુરથી જ ચૂંટણી લડી શકે છે. અને અલ્પેશ ઠાકોર દ્વારા રાધનપુરમાં લગાવેલા મોટા બોર્ડના કારણે પણ આ બાબતને સમર્થન મળી રહ્યું છે.જો કે અલ્પેશ ઠાકોર ફરીથી ભાજપમાંથી ચૂંટણી લડશે તો ભાજપના કાર્યકરોનો સહયોગ કેવો રહેશે તે જોવાનું રહે છે,કારણ કે ગત ચૂંટણીઓમાં સ્થાનિક ભાજપના કાર્યકરોએ અલ્પેશ ઠાકોરના વિરોધમાં પ્રચાર કર્યો હતો,અને હવે તેમના તરફેણમાં પ્રચાર કરવો પડશે.