ડીસા : બનાસકાંઠા જિલ્લાની ૧૪ર ગૌશાળાના ૭૨ હજાર પશુઓ ઘાસચારાના અભાવે મુશ્કેલીમાં મુકાઇ ગયા છે ત્યારે સંચાલકોની રજૂઆતને ધ્યાને લઈ સરકાર દ્વારા જિલ્લાની ગૌશાળા અને પાંજરાપોળને અપ્રિલ માસની ઘાસચારાની સહાય પેટે રૂ.૧૭ કરોડની બાકી રકમની ફાળવણી કરાઈ છે. સરહદી બનાસકાંઠા જીલ્લામાં કુલ ૧૪ર ગૌશાળાઓમાં ૭૨,૦૦૦ થી વધુ પશુઓ આશ્રય મેળવે છે અને અત્યારે આ તમામ પશુઓ ઘાસચારના અભાવે મોટી મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. ગત વર્ષની વાત કરીએ તો બનાસકાંઠા જીલ્લામાં ગૌશાળાના સંચાલકો દ્વારા સરકાર સામે સહાયને લઈ આંદોલન છેડવામાં આવ્યું હતું. અને આ આંદોલન પણ ખૂબ જ ચર્ચામાં રહ્યું હતું. આ આંદોલનને પગલે ગુજરાત સરકારે બનાસકાંઠા જિલ્લાની ગૌશાળાઓને સહાયનું પેકેજ જાહેર કર્યું હતું. ત્યારે આ વર્ષે ફરી બનાસકાંઠા જિલ્લાની ૧૪ર ગૌશાળામાં આશ્રય મેળવી રહેલા ૭૨,૦૦૦ પશુઓ અત્યારે સરકાર દ્વારા સહાય જાહેર કરાઈ હતી. પરંતુ તેની ચુકવણીમાં વિલંબ કરાતા ગૌ શાળા અને પાંજરાપોળ સંચાલકો માટે પશુઓની નિભાવણી મુશ્કેલ બની ગઈ હતી. ગૌશાળાઓની આર્થિક પરિસ્થિતી ખૂબ જ નાજુક હોવાના લીધે ઉધાર વધી જવાના લીધે બમણા ભાવે પણ હવે વેપારીઓ ઘાસચારો આપતા નથી. ત્યારે ડીસા ખાતે રાજપુર પાંજરાપોળના સંચાલક ભરતભાઇ કોઠારીએ ચીમકી આપી હતી કે જો સરકાર દ્વારા આગામી સમયમાં ગૌશાળાઓ માટે રાહત પેકેજ આપવામાં નહીં આવે તો ગૌશાળાઓના સંચાલકોને એકવાર ફરી આંદોલન છેડવાની ફરજ પડશે.જેના પગલે રાજ્ય સરકારે ગઈકાલે તાત્કાલિક અસરથી જિલ્લાની ૧૪ર ગૌશાળા અને પાંજરાપોળને અપ્રિલ માસની ઘાસચારાની સહાય પેટે રૂ.૧૭ કરોડની બાકી રકમની ફાળવણી કરાઈ છે. જે તમામ ગૌશાળા અને પાંજરાપોળના ખાતામાં જમા કરી દેવાયા હોવાનું જાણવા મળેલ છે.