ઉપલેટા નજીક આવેલા તલંગણા ગામમાં મામી, ભાણેજે એકસાથે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. પોલીસે જણાવ્યું હતું કે, મહિલાનો પતિ બે દિવસ પહેલાં રાજકોટ ચાલ્યો ગયો હતો. ત્યારબાદ ઘેર એકલા રહેલા કુંવારા ભાણેજ અને મામીએ અંતિમ પગલું ભરી લેતાં રહસ્યના અનેક તાણાંવાણાં સર્જાયા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બન્ને વચ્ચે પ્રેમસંબંધ હોવાનું બહાર આવ્યું છે.
તલંગણામાં રહેતાં અને ખેતર વાવીને ગુજરાન ચલાવતા વજુભાઈ સોલંકીની પત્ની શીતલબેન (ઉ.વ.30) અને તેમનાં ભાણેજ ભાવેશ બાબુભાઇ શિહોરા (ઉ.વ.24)એ દિનેશભાઈ વાછાણીનાં ડેલામાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. બંનેના મૃતદેહો ઉપલેટા સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે લવાયા ત્યારે આગેવાનો ઉમટી પડ્યા હતા. શીતલબેનને સંતાનમાં એક દીકરો અને દીકરી છે. જ્યારે ભાવેશ અપરણિત છે. આ બનાવ સંદર્ભે પોલીસ સબ ઇન્સ્પેક્ટર ભોજાણીએ વધુ તપાસ હાથ ધરી છે.