દિયોદર પંથકમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં ગઇકાલે આપઘાત કરનાર મહિલાની લાશ મળી આવતા ચકચાર મચી ગઇ છે. ગત મોડી સાંજે આપઘાત કરનાર મહિલાએ બાળક અને આધારકાર્ડ બહાર મુકી કેનાલમાં ઝંપલાવી દીધુ હતુ. કેનાલમાં મહિલાએ ઝંપલાવ્યુ હોવાની વાત વાયુવેગે પ્રસરી જતાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર, મામલતદાર પી.એસ. પંચાલ સહિતના અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચ્યા હતા.
બનાસકાંઠાના દિયોદર તાલુકામાંથી પસાર થતી લુદ્રા કેનાલમાં અબાળા ગામની મહિલાએ ઝંપલાવી આપઘાત કરી લીધો છે. અબાળા ગામની રમીલાબેન દશરથજી ઠાકોર નામની મહિલાએ અગમ્ય કારણોસર આપધાત કરી લીધો હોવાનું સામે આવ્યુ છે. મહિલાએ પોતાના બાળકને આધારકાર્ડ સાથે કેનાલ બહાર મુકી ઝંપલાવી દીધુ હતુ. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.
સુત્રોએ જણાવ્યુ હતુ કે, ગત મોડીરાત સુધી ભારે શોધખોળ કર્યા બાદ પણ મહિલાનો કોઇ પત્તો લાગ્યો ન હતો. આજે ફરી શોધખોળ કરતા સવારે મૃતક મહિલાની લાશ મળી આવી હતી. જેને લઇ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.