રાધનપુરમાં નગરપાલિકા દવારા પીવાના પાણીની સમસ્યા હલ કરવા માટે સક્રિય પ્રયાસો હાથ ધરાયા છે.એકબાજુ રવિધામ તથા તેના આજુબાજુના વિસ્તારોના લોકોની પીવાના પાણીની સમસ્યાને ધ્યાનમાં રાખીને સંપની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે, ત્યારે બીજી બાજુ વર્ષોથી રામનગરની પીવાના પાણીની સમસ્યાને ધ્યાને લઈને પાલિકા દવારા રામનગર વિસ્તારમાં ત્રણ લાખ લીટરની કેપિસિટી ધરાવતા સંપની કામગીરીનો પણ શુભારંભ કરવામાં આવ્યો છે. ૧૪માં નાણાપંચની ગ્રાન્ટમાંથી રૂ.૧૩.૩૨ લાખના ખર્ચે સંપ બનાવવામાં આવી રહ્યો છે. આ સંપ ઉપરાંત પાલિકા દવારા ભવિષ્યમાં અહીં પાણીની ઊંચી ટાંકી અને ટ્યુબવેલ બનાવવાનું પણ આયોજન કરવામાં આવનાર છે. પાલિકાના પાણીપુરવઠા સુપરવાઈઝર વિક્રમભાઈ ભોજકના જણાવ્યા મુજબ આ સંપ બની ગયા બાદ રામનગર વિસ્તાર ઉપરાંત વિઠ્ઠલનગરનો પાછળનો ભાગ, હરિઓમ સોસાયટી, અંબિકા અને અર્બુદા સોસાયટી સહીત પાંચ હજારથી વધુ લોકોને તેનો લાભ મળશે.