સુરતઃ અમરોલી નજીક કન્ટેનરની ટક્કર બાદ લોખંડની ગડર બાઇક સવાર પર પડતા કરૂણ મોત નીપજ્યું હતું. વહેલી સવારે બનેલી આ ઘટના બાદ લોકોએ રોષ ઠાલવતા તંત્ર દોડતું થઈ ગયું હતું. મરનાર શબ્બીર સૈયદ વેડરોડની એક સ્કૂલના શિક્ષક હોવાનું બહાર આવ્યું છે. એક્સિડન્ટ બાદ ભારે ટ્રાફિક જામ સર્જાતા લોકોએ અમરોલી સાયણ બ્રીજ ખુલ્લો મુકી દીધો હતો. મહત્વપૂર્ણ છેકે, 30મીએ વડાપ્રધાન બ્રીજને ખુલ્લો મુકે તે પહેલા લોકોએ ખુલો મુકવાની ફરજ પડી હતી.
સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે ઘટના સવારે લગભગ સાડા સાત વાગ્યા ના અરસામાં બની હતી. લોડેડ કન્ટેનર સાથે જતા બાઇક સવાર પર અચાનક બ્રિજ ઉપરથી ભારી ભરખમ લોખંડની ગડર પડતા લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા. જમીન ઉપર લોહો લુહાણ હાલતમાં પડેલા ઇસમને તાત્કાલિક ખાનગી બાદ સ્મીમેર હોસ્પિટલ લઈ જવાતા મૃત જાહેર કરાયો હતો. આ દુર્ઘટનામાં બીજા રાહદારીઓને પણ સામાન્ય ઇજા થઇ હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસે જણાવ્યું હતું કે. તપાસમાં મરનારનું નામ શબ્બીર મહંમદ નજીર સૈયદ ઉ.વ. 30 અને રહેવાસી કોસાડ આવાસના હોવાનું જાણવા મળ્યું છે. તેમજ શબ્બીરભાઈ વેડરોડની સર્વોદય શાળામાં શિક્ષક હોવાનું બહાર આવ્યું છે. સ્થાનિક લોકોની તપાસમાં દુર્ઘટના પાછળ ટ્રક ચાલક જવાબદાર હોવાનું હાલ બહાર આવ્યું છે. એક લોડેડ કન્ટેનર બ્રિજ ઉપર લાગેલા ઉદ્ઘાટનના બેનરમાં ભેરવાતા લોખંડની ગડર ટ્રક પાછળ દોડતી બાઇક સવાર પર પડી હતી. જોકે હાલ તપાસ ચાલુ છે.