અમદાવાદ: ખેેડૂતોનાં દેવાં માફી અને પાટીદારોને અનામતના મુદ્દે છેલ્લા ૧૪ દિવસથી ઉપવાસ પર બેઠેલ હાર્દિક પટેલ ગઇ કાલે સોલા સિવિલમાં દાખલ થયા હતા. ત્યાર બાદ સરકારી હોસ્પિટલ તંત્ર અનેે સરકાર પર ભરોસો ન હોવાનું કહી મોડી રાતે એસજી હાઇવે પર આવેલ એસજીવીપી હોસ્પિટલમાં દાખલ થયા હતા.
મોડી રાતે હાર્દિક પટેલના લગભગ ૧૧ જેટલા રિપોર્ટ કરાયા હતા. રાત્રે તેણે શ્વાસ લેવામાં તકલીફ હોવાની ફરિયાદ કરી હતી. હાર્દિક પટેલની તબિયત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે.
હાર્દિક પટેલે હોસ્પિટલમાં દાખલ થયા બાદ પણ જણાવ્યું હતું કે તેના ઉપવાસ હજુ ચાલુ છે. એસજીવીપી હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ તેના એલએફટી, આરએફટી, પીબીસી, યુરિન, સોનોગ્રાફી, ઇસીજી અને ઇકો સહિતના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. દરેક ટેસ્ટનો નોર્મલ રિપોર્ટ આવ્યો હતો.
આજે લોકતાંત્રિક જનતાદળના નેતા શરદ યાદવ, સમાજવાદી પક્ષના નેતા અને સાંસદ ધર્મેન્દ્ર યાદવ, ડીએમકેના નેતા એ. રાજા અને ઇલિયાસ આઝમી હાર્દિક પટેલની હોસ્પિટલમાં મુલાકાત લેશે. ઉપરાંત સમાજ સુધારક સ્વામી અગ્નિવેશ, આચાર્ય પ્રમોદકૃષ્ણમ, આમ આદમી પાર્ટીના એમએલએ કર્નલ દેવેન્દ્ર શેરાવત હાર્દિક પટેલની મુલાકાત લેશે.
ગઇ કાલે હાર્દિક પટેલની સાથે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે મુલાકાત લીધી હતી અને ખોડલધામના ટ્રસ્ટીઓ અને ઉમિયાધામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સાથે મળી હાર્દિકના મુદ્દા પર ચર્ચા કરી સરકાર સાથે વાતચીત કરશે તેમ જણાવ્યું હતું, જોકે હજુ સુધી સરકારે નરેશ પટેલ સાથે કોઇ વાતચીત કરી નથી તેમજ નરેશ પટેલે પણ ગઇ કાલે ઉમિયાધામના ટ્રસ્ટીઓ
સાથે મુલાકાત બાદ કોઇ વાતચીત કરી નથી.