પાલનપુર : પાલનપુર શહેરમાં વ્યવસાય વેરો ન ભરનારા વેપારીઓ સામે પાલિકા તંત્ર દ્વારા તવાઈ હાથ ધરવામાં આવી છે. ત્યારે વ્યવસાય વેરો ન ભરનારા ૩૦૦ વેપારીઓને નોટિસ ફટકારવામાં આવી છે. તેમજ સમયમર્યાદામાં વેરો ભરપાઇ કરવામાં નહી આવે તો તેમની મિલ્કતો સીલ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. પાલનપુરમાં વ્યવસાયવેરો ન ભરતા વેપારીઓ સામે પાલિકાએ લાલ આંખ કરી છે. વ્યવસાયવેરા અધિકારી કમલેશભાઇ દ્રિવેદીએ જણાવ્યું હતુ કે, વર્તમાન સમયે પાલિકામાં ૮૭૦૦ વેપારીઓએ પોતાના વ્યવસાયની નોંધણી કરાવી છે. જોકે, તેમાંથી મોટાભાગના વેપારીઓ વ્યવસાય વેરો ભરપાઇ કરતા નથી. આથી પાલિકા દ્વારા તેમની સામે કાર્યવાહી હાથ ધરાઇ છે. જે અંતર્ગત ૩૦૦ વેપારીઓને નોટિસ આપવામાં આવી છે. નોટિસમાં જણાવાયું છે કે, જો ઓગષ્ટ મહિનાના અંત સુધીમાં વ્યવસાય વેરો ભરપાઇ કરવામાં નહી આવે તો તેમની મિલ્કતો સીલ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, પાલિકાની આ કાર્યવાહીના પગલે વ્યવસાયવેરા બાકીદારોમાં ફફડાટ પ્રસરી જવા પામ્યો છે.