દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી એગ્રીકલ્ચર વિભાગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ બપોરે પોતાની હોસ્ટેલના રૂમમાંથી નીકળી દાંતીવાડા ડેમ વિસ્તાર નજીક ઝાડીમાં ફાંસો ખાઇ આપઘાત કરતા સમગ્ર યુનિ. સહિત પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
જુનાગઢના માંગરોળ ખાતેથી દાંતીવાડા કૃષિ યુનિવર્સીટીમાં એગ્રીમાં અભ્યાસ કરવા આવેલ હેમંત કાથડની દાંતીવાડા ડેમ તળેટીના નીચેના વિસ્તારમાં ઝાડીમાં લટકતી લાશ મળી આવતા સ્થાનિક પોલીસ ઘટના પર પહોંચી હતી.અને વિદ્યાર્થીના મૃતદેહનો કબજો લઇ પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. બનાવની જાણ થતા યુનિવર્સિટીના અધિકારીઓ અને વિદ્યાર્થીઓ પણ દોડી આવ્યા હતા અને ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા.
અત્રે યાદ આપવું જરૂરી છે કે,અગાઉ પણ વિદ્યાર્થીઓએ આપઘાત કર્યાના કિસ્સાઓ ભૂતકાળમાં નોંધાયા છે. જેને કારણે વાલીઓમાં તેમજ વિદ્યાર્થીઓમાં પણ આ અંગે ચર્ચાનો વિષય બનેલો છે.
વર્ષો બાદ આજે વધુ એક વિદ્યાર્થીએ દાંતીવાડા ડેમ તળેટીની નજીક ઝાડીમાં આપઘાત કરી લેતા ફરી એકવાર દાંતીવાડા કૃષિ યુનિ. વિવાદ સાથે ચર્ચામાં આવી છે.કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીનો મૃતદેહ ઝાડે લટકતા જોઈ હાજર વિધાર્થીઓ પણ સ્તબ્ધ બની ગયા હતા.હાલમાં દાંતીવાડા પોલીસે યુનિવર્સિટીના અધિકારીઓની હાજરીમાં વિદ્યાર્થીના પરિવારજનોને જાણ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ કરાવવાની તજવીજ હાથ ધરી છે.