૧૭મી લોકસભાની ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા જારી રહી છે. ૧૧મી એપ્રિલના દિવસે પ્રથમ તબક્કામાં શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ થયા બાદ હવે આવતીકાલે ગુરૂવારના દિવસે બીજા તબક્કામાં મતદાન યોજાનાર છે. બીજા તબક્કામાં પણ શાંતિપૂર્ણ રીતે મતદાનને પાર પાડવા માટે ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયાર કરી લેવામાં આવી છે. મતદારોમાં પણ અભૂતપૂર્વ ઉત્સાહ દેખાઇ રહ્યો છે. આવતીકાલે ગુરૂવારના દિવસે બીજા તબક્કામાં ૧૨ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશ પુડ્ડુચેરીને આવરી લેતી ૯૬ સીટ પર મતદાન યોજાનાર છે. વિવાદાસ્પદ નિવેદન કરવા બદલ ચૂંટણી પંચે આખરે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ લાલ આંખ કરી છે જેના ભાગરૂપે ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્ય નાથ, ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન માયાવતી અને સમાજવાદી પાર્ટીના નેતા આજમખાન પર પ્રતિબંધ મુકવામાં આવી ચુક્યો છે. તેમના પર કેટલાક દિવસો માટે પ્રચાર ન કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે. આવતીકાલે બીજા તબક્કામાં જે રાજ્યોમાં મતદાન યોજાનાર છે તે પૈકી તમિળનાડુમાં સૌથી વધારે ૩૮ સીટો પર મતદાન થનાર છે. કર્ણાટકમાં ૧૪, મહારાષ્ટ્રમાં ૧૦, ઉત્તર પ્રદેશમાં આઠ, આસામ, બિહાર અને ઓરિસ્સામાં પાંચ પાંચ સીટો પર મતદાન થનાર છે. આવી જ રીતે છત્તિસગઢ અને બંગાળમાં ત્રણ ત્રણ સીટ પર મતદાન થનાર છે. જમ્મુ કાશ્મીરમાં બે સીટ પર મતદાન થનાર છે. મમિપુર, ત્રિપુરા અને પોન્ડીચેરીમાં એક એક સીટ પર મતદાન થશે. ચૂંટણી પ્રચારનો મંગળવારના દિવસે અંત આવ્યો હતો. બીજા તબક્કા માટે ચૂંટણી પહેલા પ્રચારમાં ભાજપ તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, રાજનાથ સિંહ, તેમજ કેન્દ્રિય પ્રધાનોએ જવાબદારી સંભાળી હતી. જેમાં ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણનો સમાવેશ થાય છે. કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધીએ તમામ તાકાત લગાવી દીધી હતી.