વાવ : બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારની હજારો એકર જમીનમાં ખારાસ વધતા ખેડૂતો ચીંતીત બન્યા છે.ગત ૨૦૧૫ અને ૨૦૧૭ ના વર્ષે આવેલ પુરના કારણે જમીનનું ધોવાણ થતા રણકાંધીના ગામડાઓની જમીનમાં ખારાસ આવી જતા ખેડૂતો ચિંતિત જોવા મળી રહ્યા છે. વાવ અને સુઇગામ તાલુકાના જલોયા, માવસરી, અસારા, લોદ્રાણી, નાળોદર, ભરડવા અને સુઇગામ જેવા ગામોની સીમમાં ભારે પુર બાદ જમીનમાં ખારાસ આવતા ખેતરો ખારા રણમાં ફેરવાઈ ગયા છે. જેથી ખેડૂતો ખેતરમાં વાવણી પણ કરી શકતા નથી.વાવ તાલુકાના અસારા ગામના ખેડૂતોએ જણાવ્યુ હતુ કે અમારે રણની કાંધીના ગામોની હજારો એકર જમીનમાં ખારાસ આવી જતા ચોમાસમાં વાવણી પણ કરી શકાતી નથી. રાજ્ય સરકાર આ મામલાની ગંભીર નોંધ લઈ જમીનની ચકાસણી કરાવી ખારાસ નહિ અટકાવે તો આગામી સમયમાં ખેડૂતોને હિજરત કરવાનો વારો આવશે તેવી દહેશત પણ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે
૨૦૧૫ અને ૨૦૧૭ ના પુરના કારણે ભારે તબાહી થઈ હતી અને પાણી વધી જતાં ખેતરોમાં મોટા પાયે ધોવાણ થયુ હતું જેથી ખારાસ વધી ગઈ છે છતાં રાજ્ય સરકારે ખારાસવાળી જમીનનું સર્વે પણ આજદિન સુધી કરાવ્યું નથી જેથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.