રખેવાળ ન્યુઝ પાલનપુર : પાલનપુર તાલુકાના નળાસર ગામ પાસે માલણ રોડ પર ગત સાંજે બાઇક અને બળદગાડા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક મહિલાનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતુ. જ્યારે બે જણાને ઇજાઓ થતાં પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
પાલનપુર નજીક સર્જાયેલા અકસ્માતની પ્રાપ્ત વિગતો મુજબ અમીરગઢ તાલુકાના કાનપુરા ગામના વતની અને હાલમાં નળાસર ગામે રહેતા રમેશભાઇ શકરાભાઇ દામા બુધવારે સાંજે બાઇક લઇને જઇરહ્યા હતા. ત્યારે રોડની સાઇડમાં ઉભેલા બળદગાડા સાથે બાઇક ધડાકાભેર અથડાયું હતુ. આ અકસ્માતમાં બાઇકની પાછળ બેઠેલા લીલાબેન સુરેશભાઇ ચૌહાણને ગંભીર ઇજાઓ થતાં તેણીનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતુ. જ્યારે રમેશભાઇ અને શ્રવણભાઇને ઇજાઓ થતાં પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.