રિલાયન્સ કંપનીએ ક્યારેય ઇલેકટ્રોનિક રમકડાં બનાવ્યા નથી. તેવી કંપનીના માલિક અનિલ અંબાણીને ફાયદો કરાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાફેલ ફાઇટર એરક્રાફ્ટ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપ્યો છે. જેથી સરકારી તિજોરીને રૂપિયા 41 હજાર કરોડનું નુકશાન થશે. અને રાફેલ ફાઇટર એરક્રાફ્ટની ખરીદી બાબતે ચૂપકીદી સેવનાર નરેન્દ્ર મોદી દેશના ચોકીદાર નહીં. પરંતુ અનિલ અંબાણીના ભાગીદાર છે. તેવો આક્ષેપ AICCના ગુજરાતના પ્રભારી અને સાંસદ રાજીવ સાતવે કર્યો છે.
વડોદરા ખાતે આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતી દ્વારા આયોજીત પત્રકાર પરિષદમાં રાજીવ સાતવે જણાવ્યું હતું કે, કોંગ્રેસ દ્વારા આગામી સપ્તાહમાં જે.પી.સી.ની બેઠક બોલાવવાની માંગણી કરવામાં આવી છે. જો ભાજપા સરકાર આ બેઠક નહીં બોલાવે તો કોંગ્રેસ સમગ્ર દેશમાં આગામી સપ્તાહથી રાફેલ ફાઇટર એરક્રાફ્ટ કૌભાંડને પ્રજા સમક્ષ લઇ જશે.
તેમણે ભાજપ સરકાર સામે આક્ષેપ કરતા વધુમાં જણાવ્યું હતું કે, ભાજપા સરકારે દેશની હિંદુસ્તાન એરોનેટીક કંપની લિ.ને બાજુ ઉપર મુકીને સરકારે ફ્રાન્સ સાથે 36 રાફેલ ખરીદવા માટે કરાર કર્યા છે. એ તો ઠીક દેશની બીજી કંપની યુરોપ ફાઇટર ટાઇફોન કંપનીએ રાફેલ ફાઇટર એરક્રાફ્ટ માટે 20 ટકા ડિસ્કાઉન્ટ આપવાની પણ તૈયારી બતાવી હતી. તેમ છતાં આ કંપનીને ઓર્ડર આપવામાં આવ્યો નથી. અને રિલાયન્સ કંપનીએ ક્યારેય ઇલેકટ્રોનિક રમકડાં બનાવ્યા નથી. તેવી કંપનીને રફેલ ફાઇટર એરક્રાફ્ટ બનાવવા માટે રૂપિયા 30 હજાર કરોડનો અપસેટ કોન્ટ્રાક્ટ કર્યો છે. આ ઉપરાંત રિલાયન્સને 1 લાખ કરોડનો બીજો કોન્ટ્રાક્ટ આપ્યો છે. આમ કુલ રૂપિયા 1.30 લાખ કરોડનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 56ની છાતીની વાતો કરનાર નરેન્દ્ર મોદીએ 56ની છાતીનો ઉપયોગ મિત્ર અનિલ અંબાણીને મદદ કરવા માટે ઉપયોગ કર્યો છે. તેઓએ ફ્રાન્સ ઉપર દબાણ લાવીને રિલાયન્સને કોન્ટ્રાક્ટ અપાવીને સરકારી તિજોરીને રૂપિયા 41 હજાર કરોડનું નુકશાન પહોંચાડ્યું છે. દેશના રક્ષા મંત્રી, રક્ષા રાજ્ય મંત્રીને પાસે રાફેલની ખરીદી માટે સ્પષ્ટતા માંગવામાં આવે છે. તેઓ તેઓ સુરક્ષાના મુદ્દાને આગળ ધરી રહ્યા છે. જ્યારે બીજી બાજુ રિલાયન્સ કંપની પ્રેસનોટ બહાર પાડીને રફેલ ફાઇટર એરક્રાફ્ટ માટે નક્કી કરેલી કિંમત અને થયેલા કરારની માહિતી આપી રહ્યું છે.