પીતમપુરા વિસ્તારમાં આવેલી વિવેકાનંદ ઇન્સ્ટિટયૂટ ઓફ પ્રોફેશનલ સ્ટડીઝ કોલેજના સાતમા માળેથી કૂદીને એક યુવતીએ આત્મહત્યા કરી લીધી. ઘટના ગુરુવાર સવારે 11.30 વાગ્યાની છે. યુવતીની ઓળખ વરીશા રહીસ (26) તરીકે થઈ છે. ઘટનાસ્થળે કોઈ સુસાઇડ નોટ નથી મળી. ત્યાં એક બેગ મળી, જેમાં બે મોબાઇલ અને કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો હતા. પોલીસ બંને મોબાઇલના લોક ખોલવાનો પ્રયાસ કરી રહી છે જેથી કોલ ડિટેલ તપાસી આત્મહત્યા વિશે માહિતી મેળવી શકાય. પોલીસે કેસ નોંધી તેના પરિવારના સભ્યો અને કોલેજ એડમિનિસ્ટ્રેશન સાથે પૂછપરછ કરી છે. બીજી તરફ, પોલીસે કોલેજના મેઇન ગેટ અને અંદર લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી લીધા છે. ફૂટેજમાં વરીશા છઠ્ઠા અને પાંચમા માળ પર જતી જોવા મળી રહી છે. તે સમયે તે એકલી હતી. યુવતીના પિતાનું કહેવું છે કે મારી દીકરી ઘણી સમજદાર હતી, તે આત્મહત્યા જેવું પગલું ન ઉઠાવી શકે.
મળતી માહીતિ પ્રમાણે, સુલ્તાનપુરીમાં પરિવારની સાથે રહેનારી વરીશા ખાનગી કંપનીમાં જોબ કરવા ઉપરાંત અભ્યાસ પણ કરતી હતી. આ કોલેજથી એલએલએમ કરવા માટે તેણે ફોર્મ ભર્યું હતું. તેના પિતા અબ્દુલ રહીસ જૂતાની દુકાનમાં નોકરી કરે છે. ભાઈએ હાલમાં જ એમબીએ કર્યું છે. ઘટનાના દિવસે સવારે લગભગ 11.30 વાગ્યે વરીશા સાતમા માળે ગઈ અને ત્યાંથી છલાંગ લગાવી દીધી. પોલીસ મુજબ, વરીશા એલએલએમના ક્લાસ વિશે જાણકારી મેળવવા ગુરુવાર સવારે 11 વાગ્યે કોલેજ પહોંચી હતી. લગભગ 11.15 વાગ્યે બેગ લઈને કોલેજના છઠ્ઠા માળે ગઈ. ત્યાં કોરિડોરમાં બે મહિલા ટીચર્સે તેને રોકી અને પૂછ્યું કે કોને મળવું છે. ત્યારબાદ વરીશાને લઈને બંને ટીચર્સ પાંચમા માળે આવી ગઈ અને કહ્યું કે હાલમાં સેશન નથી ચાલતાં. તેની થોડીક જ મિનિટો બાદ વરીશા સાતમા માળે પહોંચી અને ત્યાંથી છલાંગ મારી દીધી.
મામલાની તપાસ માટે પોલીસ તે બે મહિલા ટીચર્સ સાથે પૂછપરછ કરી રહી છે, જે વરીશાને છઠ્ઠાથી પાંચમા માળે લઈને ગઈ હતી. પોલીસ એવું પણ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે વરીશાએ કોલેજમાં આવીને જ કેમ આત્મહત્યા કરી? છઠ્ઠા અને સાતમા માળે તે સમયે કોણ-કોણ હતું, તેના વિશે પણ માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. પોલીસનું કહેવું છે કે બંને મોબાઇલના લોક ખૂલ્યા બાદ કોલ ડિટેલની તપાસ કરવામાં આવશે, ત્યારબાદ જ મામલા વિશે માહિતી મેળવી શકાશે. પરિવારનું કહેવું છે કે બાળપણથી જ તેણે ભણવાનો શોખ હતો. તે શરૂઆતથી જ અભ્યાસમાં પ્રથમ આવતી હતી. એલએલબી કરી ચૂકેલી વરીશા નોકરી કરતી હતી અને તેની સાથોસાથ એલએલએમ કરવા માગતી હતી. તે અભ્યાસ અને ઘરને લઈને ઘણી પરેશાન રહેતી હતી. પિતા અબ્દુલ રહીસનું કહેવું છે કે તેમની દીકરી ઘણી સમજદાર અને સમયની સાથે ચાલનારી છોકરી હતી. તે આત્મહત્યા કરવા જેવું પગલું ન ઉઠાવી શકે.