ISISના આતંકીઓએ કર્યો ચોંકાવનારો ખુલાસો, ‘હિંદુ નેતાઓની હત્યાનો હતો ટાર્ગેટ, મોટા આતંકી હુમલા માટેપ’
દેશની રાજધાની દિલ્હીમાંથી બે દિવસ પહેલા ૩ અને ગુજરાતમાંથી ઝડપાયેલા ISISનાં ૧ એમ ૪ સંદિગ્ધ આતંકીઓએ મોટો ખુલાસો કર્યો છે. દેશમાં મોટો આતંકી હુમલો કરવા માટે તમિલનાડુથી હથિયારોનું કન્સાઈનમેન્ટ મુંબઈ આવવાનું હતુ તેવી સ્ફોટક કબુલાત ગોરવામાંથી ઝડપાયેલાં ISISના આતંકીએ ગુજરાત એ.ટી.એસ. સમક્ષ કરી હોવાનું જાણવા મળે છે.
ISISનાં આતંકી ઝફર નામનાં એક આતંકીએ ગુપ્તચર એજન્સીને જણાવ્યું હતું કે, તેઓ શહીદી માટે જ અહીં આવ્યા હતાં. તેમને અહીં મોટા અને ફેમસ હિંદુ નેતાઓની હત્યા કરવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. મોટા નેતાઓની જાણકારી તેમને શહેરની દિવાલો પર લાગેલા પોસ્ટરો પરથી લેવાની હતી. જે બાદ આખા પ્લાનિંગની સાથે તેમની ઉપર હુમલો કરવાનો હતો. ISISના આતંકીએ એવું પણ જણાવ્યું છે કે, તેમણે સેના અને પોલીસનાં ભરતી કેમ્પનની રેકી કરવાની જવાબદારી પણ આપવામાં આવી હતી. આ લોકોનાં હેન્ડલરે તેમને જણાવ્યું હતું કે, વર્દી પહેરેલા મોટા અધિકારીઓ દેખાય તો તેમની હત્યા કરી દેવાની.
દિલ્હીના ગુપ્તચર એજન્સીઓનું કહેવું હતું કે, આ ત્રણ આતંકીઓની યોજના દેશનાં વિવિધ શહેરોમાં મોટા હુમલાની હતી. આતંકીઓની નજરમાં આરએસએસનાં મોટા નેતા પણ તેમના નિશાના પર હતા. ઝડપાયેલા ISIS આતંકવાદીઓની ઉત્તરપ્રદેશમાં પણ મોટા હમલાઓ કરવાનું ષડયંત્ર હતું.
ઉત્તરપ્રદેશ એટીએસ હવે દિલ્હી એટીએસનાં સંપર્કમાં છે. તેઓ આમને પોતાના કબજામાં લઇને પૂછપરછની તૈયારીમાં છે. આ દરમિયાન પૂછપરછમાં તે પણ ખુલાસો કર્યો કે, આ લોકો એકબીજા સાથે વાતચીત કરવા માટે એવી એપનો ઉપયોગ કરતા હતા કે, કોમ્યુનિકેશન પુરું થતાંની સાથે જ ટેક્સટ પોતાની જાતે જ ડિલીટ થઇ જાય.
એટલું જ નહીં, વડોદરાના આતંકી વિશે જણાવીએ તો, ગોરવા મધુનગર ફલાય ઓવર બ્રીજ પાસેના બોરીયા તળાવ વસાહત-૧ના મકાનમાંથી આતંકી ઝફર ઉર્ફે જાહર ઉર્ફે ઉમર નેપાળથી વાયા ઉત્તર પ્રદેશ થઈને જંબુસર આવ્યો હતો. જંબુસરમાં આતંકીએ લગભગ ૪ દિવસ રોકાણ કર્યું હતુ. અને ત્યાર પછી ડિસેમ્બર માસના અંતીમ સપ્તાહથી ગોરવા વિસ્તારમાં આશ્રય લઈ રહ્યો હતો. આતંકીને બુધવારે રાતે જ એ.ટી.એસ.ની ટીમ અમદાવાદ લઈ ગઈ હતી.
અમદાવાદ ખાતે કરાયેલી પૂછપરછમાં ઝફર ઉર્ફે જાફરે એવી સ્ફોટક કબુલાત કરી છે કે, દેશમાં મોટા આતંકી હુમલો કરવા માટે તમીલનાડુથી હથિયારોનું કન્સાઈનમેન્ટ મુંબઈ આવવાનું હતું. તમિલનાડુથી છુટા પડેલાં આતંકીઓ મુંબઈમાં ભેગા થવાના હતાં. અને હથિયારો મેળવી આકાઓ તરફથી મળનારા આદેશ બાદ હુમલો કરવાનો પ્લાનિંગ હતું. આતંકીઓના સંવેદનશીલ કેસની તપાસમાં એકસૂત્રતા જળવાઈ રહે તે માટે સમગ્ર કેસની તપાસ હવે દિલ્હીની સ્પેશીયલ ટીમ કરશે.