રાધનપુર તાલુકાના પ્રેમનગર ગામના ખેડૂતોએ નર્મદા યોજનાના કાર્યપાલક ઇજનેરને આવેદનપત્ર આપીને સબ માયનોર નં.૨ કેનાલમાં ત્રણ દિવસમાં પાણી છોડવામાં નહિ આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.જો આ કેનાલમાં પાણી છોડવામાં ના આવે તો ઢોર-ઢાંખરને તેમજ પાકને ખુબ જ મોટું નુકશાન થાય તેમ છે.જેના કારણે ખેડૂતોને ભૂખે મારવાનો વારો આવે તેમ છે.
પ્રેમનગર ગામેથી નર્મદા યોજનાની સબ માયનોર નં.૧ તથા નં.૨ કેનાલો નીકળે છે,જે ૨૦૧૨ બનેલ છે.પરંતુ આ કેનાલોમાં આજદિન સુધીમાં પાણી છોડવામાં આવ્યું નથી.ચાલુ વર્ષે વરસાદ પૂરતા પ્રમાણમાં પડેલ ના હોવાથી પાણીની ખુબ જ તંગી વર્તાઈ રહી છે.લોકોને કે ઢોરને પીવા માટે પાણીની વિકટ સમસ્યા ઉભી થવા પામી છે. ખેતીના પાકને પણ પાણી વિના મોટાપાયે નુકશાન થઇ રહ્યું છે.આ બંને કેનાલો હાલમાં બિસ્માર અને તૂટેલી હાલતમાં પડી છે. જેથી તાત્કાલિક આ કેનાલોનું રીપેરીંગ કામ કરીને ખેડૂતોને નર્મદાનું પાણી મળી રહે તે માટે ઉગ્ર રજુઆત કરવામાં આવી છે.આ આવેદન પત્રમાં જણાવ્યા મુજબ પ્રેમનગર આઝાદ ભારતનું એક એવું ગામ છે જેનું રેવન્યુ દફતર સરકાર દવારા આજદિન સુધી અલગ કરવામાં આવ્યું નથી, જેના કારણે આ ગામ પ્રત્યે ઓરમાયું વર્તન રાખવામાં આવે છે, અને નર્મદાનું પાણી ખેતરે ખેતરે મળી રહે તેવું દેખાતું નથી.નર્મદા નિગમ પણ પ્રેમનગર ગામ પ્રત્યે ઓરમાયું વર્તન ના કરે તેવી રજુઆત કરાઈ છે.