થરાદના માર્કેટયાર્ડની પાસે આવેલ અર્બુદા શોપીંગ સેન્ટરમાં તાલુકાના ભુરીયા ગામના નવિનભાઇ પટેલની ન્યુ ધરતી એગ્રો સેન્ટર નામની પશુઆહાર અને ખાતર તથા ખેતીની દવાઓની દુકાન આવેલી છે.જેમાં ભાઇબીજના સવારે તિરંગા હોટલાના માલિક અમરતલાલ રાઠોડને ધુમાડાના ગોટા જોવા મળતાં તેમણે તરત દુકાનના માલિકોને જાણ કરી હતી.ત્યાર બાદ દોડી આવેલા રવજીભાઇ રાઠોડ સહિતના આજુબાજુના યુવકોએ નગરપાલિકાના ફાયર ફાયટરને જાણ કરી હતી. જોકે ફાયટર સુઇગામના બેણપ મુકામે હોઇ નહી આવી શકવાના કારણે લપકારા મારતી આગની જવાળાઓ તે દુકાનમાં ફરી વળતાં તમામ ચીજવસ્તુઓ બળીને ખાખ થઇ જતાં ભારે નુકશાન થવા પામ્યું હતું. જ્યારે આગની અસર બાજુની મોબાઇલની દુકાનમાં પણ થવા પામી હતી.જેનાથી મોબાઇલ અને કોમ્પ્યુટર જેવા ઉપકરણોને પણ ભારે નુકશાન થવા પામ્યું હતું.જોકે ઘટનાની જાણ કરાતાં પાલિકાનું ટેંકર અને ધાનેરા નગરપાલિકાનું ફાયરફાયટર આવે અને આગને કાબુમાં લે તે પુર્વે યુવકોએ પાણીની બાલદીઓ ભરીને આગને ઓલવવાનો બાલિશ પ્રયાસ પણ કર્યો હતો.જોકે તહેવારની રજાના અને ફાયરફાયટરની ગેરહાજરીના કારણે બે દુકાનોમાં નુકશાન અટકાવી શકાયું ન હતું.પરંતુ એકઠા થઇ ગયેલા ટોળાએ બીજી સાઇડમાં આવેલી કરીયાણાની દુકાનનો સામાન બચાવવા તાળાં તોડવાનો પ્રયાસ કરતાં આવી ગયેલા માલિકને હાથોહાથ સામાન બહાર કઢાવવામાં મદદ કરીને થતું નુકશાન પણ અટાકાવ્યું હતું.જોકે બે દુકાનોમાં વ્યાપક નુકશાનના કારણે ચકચારની લાગણી પ્રસરવા પામી હતી.