ડીસા
દુષ્કાળની વસમી સ્થિતિ વચ્ચે સરહદી બનાસકાંઠા જિલ્લાની ગૌશાળા અને પાંજરાપોળ સંસ્થાઓમાં આશ્રિત અબોલ પશુધનના નિભાવ માટે સુરત અને મુંબઈના દાતાઓએ ૩૫ લાખનાં દાનની સરવાણી રેલાવી જીવદયાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે.
બનાસકાંઠામાં ચાલુ વર્ષે દુષ્કાળની સ્થતિ સર્જાઈ છે ત્યારે જીલ્લાની ૧૩૬ થી વધુ ગૌશાળા અને પાંજરાપોળ સંસ્થાઓના સંચાલકો માટે પણ કફોડી સ્થિતિ સર્જાઈ છે. આવી સ્થિતિમાં સરકારે બનાસકાંઠાના નવ સહિત રાજ્યના કુલ એકાવન તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કર્યા છે પરંતુ બનાસકાંઠાની ગૌશાળા અને પાંજરાપોળ સંસ્થાઓનાં સંચાલકો માટે સીતેર હજાર પશુઓનો નિભાવ એક યક્ષ પ્રશ્ન બની ગયો છે.આવી સ્થિતિમાં સુરત અને મુંબઈના જીવદયાપ્રેમી દાતાઓએ બનાસકાંઠાની જીવદયા સંસ્થાઓની રૂબરૂ મુલાકાત લઈ અબોલ જીવો માટે ઘાસચારો ખરીદવા ૩૫ લાખ રૂપિયા માતબર રકમના દાનની જાહેરાત કરી હતી.
બનાસકાંઠા સહિત સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં ચાલુ વર્ષે નહીવત વરસાદ થતાં દુષ્કાળની સ્થતિ સર્જાઈ હોઈ ખેડૂતો સહીત ગૌશાળા-પાંજરાપોળ સંચાલકોની કફોડી હાલત થવા ગઈ છે. બનાસકાંઠા જીલ્લાની તમામ ગૌશાળા અને પાંજરાપોળ સંસ્થાઓનાં સંચાલકો માટે પણ અબોલ પશુઓનો નિભાવ કઈ રીતે કરવો તે યક્ષ પ્રશ્ન બની ગયો છે ત્યારે રાજ્ય સરકારે ફક્ત અછતગ્રસ્ત જીલ્લાઓની જાહેરાતો કરી સંતોષ માની લીધો છે પરંતુ હજુ સુધી અસરગ્રસ્તોને કોઈ સહાય મળી નથી. આવી સ્થિતિમાં પાંજરાપોળ અને ગૌશાળા સંસ્થાઓના સંચાલકો અવઢવમાં મુકાયા છે.