દિયોદર તાલુકાની પ્રાથમિક શાળાઓના બાળકોની અગાઉ આરોગ્ય ચકાસણી થઇ હતી. વિવિધ ક્ષતિ કે બિમારી ધરાવતા બાળકોની વધુ તપાસ અને સારવાર માટે રેફરલ હોસ્પિટલમાં બોલાવાયા હતા. આથી સંબંધિત શાળાના બાળકો સાથે શિક્ષક વહેલી સવારે 8 વાગ્યે રેફરલ આવ્યા તો ડોક્ટરોની ગેરહાજરી સામે આવી હતી.આ દરમ્યાન શિક્ષકે રેફરલ હોસ્પિટલમાં પુછપરછ કરતા કોઇ જવાબ મળ્યો ન હતો. જોકે ખુબ જ લાંબો સમય રાહ જોયા બાદ બપોરે એક વાગ્યે ડોક્ટરોએ દેખાં દીધી હતી.
શાળા આરોગ્ય ચકાસણી બાદ બાળકોની સારવાર રેફરલ હોસ્પિટલ મારફત કરવા સરકારી ગતિવિધિ થઇ હતી. સારવારમાં તાલમેલ ભયંકર રીતે ખોરંભે જતાં 8 વાગ્યાથી માંડી બપોરે 1 વાગ્યા સુધી એટલે કે સતત 5 કલાક બાળકોને રઝળપાટ થયો હતો. ભુખ્યા-તરસ્યા બાળકો ડોક્ટરોની બેદરકારીને પગલે પરેશાન થતા વાલીઓમાં ભયંકર રોષ ઉભો થયો છે. ઉલ્લેખનિય છે કે, શિક્ષણ અને આરોગ્ય શાખા વચ્ચે મોટો વિક્ષેપ સામે આવ્યો છે.
સમગ્ર મામલે જીલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યુ હતુ કે, શાળા આરોગ્ય ચકાસણી બાદ ગંભીર પ્રકારની બિમારીવાળા બાળકોને રેફરલમાં મોકલવામાં આવે છે. જોકે તપાસ અને સારવાર કરવા આવતા ડોક્ટર બનાસ મેડીકલ કોલેજના હોય છે. ખુબ જ વિલંબથી પહોંચ્યાં હોવાનું સામે આવતા મિટીંગ કરી સુચના આપીશુ. જેથી ફરીથી આવી બાબતો સામે ન આવે.