બિહાર જિલ્લાના પુરનહિયા કોઠી ગામમાં આવેલી એક સરકારી સ્કૂલમાં બનેલું મિડ-ડે મીલ (મધ્યાહ્ન ભોજન) ખાવાથી લગભગ 48થી વધુ બાળકો બીમાર થઈ ગયાં છે. તબિયત બગડ્યા પછી તેમને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા. બાળકોએ જણાવ્યું કે જ્યારે અમે પ્રિન્સિપાલ સરને કહ્યું કે શાકમાં ગરોળી પડી છે તો તેમણે અમને વઢીને કહ્યું- બોલ બમનો નારો લગાવો અને ખઈ લો, કંઈ નહીં થાય. ડરી ગયેલાં તમામ બાળકોએ ગરોળીવાળું ભોજન ખાઈ લીધું. ત્યારબાદ એક-એક કરીને 4 ડઝન બાળકો બીમાર થઈ ગયાં. ગંભીર રીતે બીમાર થયેલા બાળકોને મોતિહારી રિફર કરવામાં આવ્યા. હાલ બાળકોની હાલ સ્થિર જણાવવામાં આવી રહી છે.
ઘોડાસહન પીએસચી (હોસ્પિટલ)માં દાખલ થયેલા છઠ્ઠા ધોરણના વિદ્યાર્થી રોશને જણાવ્યું કે શાકભાજી પીરસવા દરમિયાન તેના જ ક્લાસના અંશુની પ્લેટમાં શાકની સાથે ગરોળી પડેલી જોવા મળી.
રસોઈયાને જણાવ્યું તો તેણે શાકમાંથી ગરોળી કાઢીને ફેંકી દીધી અને તે જ શાક તમામ બાળકોને ખવડાવી દીધું. સાંજ થતા સુધીમાં તો બાળકોને ચક્કર આવવાની સાથે ઉલ્ટીઓ થવા લાગી. ત્યારબાદ મા-બાપ બાળકોને પીએચસી લઇને આવ્યા. જ્યાંથી પ્રાથમિક ઇલાજ પછી આશરે બે ડઝન બાળકોને મોતિહારી રિફર કરી દેવામાં આવ્યા.
બીડીઓ અશોકકુમારે પણ હોસ્પિટલ પહોંચીને બાળકોના સ્વાસ્થ્ય અંગે જાણકારી મેળવી. બાળકોએ જણાવ્યું કે સ્કૂલમાં ટીચર્સ અને બાળકો માટે અલગ-અલગ ખાવાનું બને છે. જ્યારે અમે પ્રિન્સિપાલ સરને શાકમાં ગરોળી હોવાની વાત જણાવી તો તેમણે કહ્યું, બોલ બમનો નારો લગાવીને ખાઈ લો, કંઇ નહીં થાય.
ડોક્ટરે જણાવ્યું કે બે બાળકોની હાલત વધુ ખરાબ હતી. તેમને ઉલ્ટી અને પેટમાં દુઃખાવાની ફરિયાદ હતી. બાકીના બાળકોની સ્થિતિ સામાન્ય છે.
રાજ્ય સરકારે નિયમ બનાવ્યો છે કે મિડ-ડે મીલ બન્યા પછી સૌથી પહેલા સ્કૂલ પ્રિન્સિપાલ અને રસોઈયા ભોજનને ચાખશે. ત્યારબાદ જ તે ભોજન બાળકોને આપવામાં આવશે. આ માટે સ્કૂલમાં એક ટેસ્ટ રજિસ્ટર રાખવામાં આવે છે. જેના પર ખાવાનું ચાખ્યા પછી ટીચર તેમાં સહી કરે છે. પરંતુ આ સ્કૂલમાં એવી કોઇ વ્યવસ્થા જોવા મળી નથી.