બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી ગણાતા દાંતીવાડા ડેમમાંથી ચાલુ વર્ષે ખેડૂતોને પિયત માટે પાણી આપવાની શરૂઆત કરાઈ છે પરંતુ ખેડૂતો રવિ સિઝનની ખેતી કરી શકે તેમ નથી. અત્યારે છોડેલું પાણી માત્ર એક માસ સુધી જ આપવામાં આવશે જેથી ખેડૂતોને રવી સીઝન ની ખેતી કરવી મુશ્કેલ બનશે.
ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં અને રાજસ્થાનમાં વરસાદ નહીવત થતા ડેમોમાં પાણીની આવક નોંધાઇ નથી. બનાસકાંઠા અને પાટણ જિલ્લાની જીવાદોરી ગણાતા દાંતીવાડા ડેમમાં અત્યારે માત્ર ૨૩ ટકા જેટલું જ પાણી છે. જોકે પિયત માટે પાણી આપવાની ખેડૂતોની વારંવારની માંગને લઈ તાજેતરમાં દાંતીવાડા પીયત સલાહકાર સમિતિ અને ધારાસભ્ય સહિત અધિકારીઓની બેઠક યોજાઈ હતી. જેમાં ખેડૂતોને પિયત માટે પાણી આપવાનો નિર્ણય લેવાયો હતો. પરંતુ ડેમમાં પાણીની સ્થિતિ જોતા અત્યારે માત્ર એક માસ સુધી જ નહેરોમાં પાણી છોડવામાં આવશે. જેનાથી બનાસકાંઠા અને પાટણ જિલ્લાના ૧૨૦ જેટલા ગામોની ૧૫ હજાર હેકટરથી વધુ જમીનને પાણી અપાશે. જોકે ત્યારબાદ બીજા પિયત માટે પાણી અપાશે નહીં. ચાલુ વર્ષે વરસાદ નહિવત થયો છે ત્યારે ખેડૂતો ખરીફ સીઝન લઇ શક્યા નથી અને નહેરો માંથી પાણી છોડાય તો રવી સીઝન ની ખેતી થઈ શકે તેવી આશા હતી. પરંતુ માત્ર એક માસ સુધી જ પાણી આપવામાં આવશે જેથી એક માસમાં તૈયાર થાય તેવો કોઈ પાક ન હોવાથી ખેડૂતોને રવી સીઝન નું વાવેતર કર્યા બાદ આગામી પિયત કઈ રીતે આપવું તેની ચિંતા સતાવી રહી છે.ત્યાંરે ખેડુતો ને ચોમાસું સીઝન બાદ હવે શિયાળુ સીઝન પણ પાકે તેમ નથી જેથી દાંતીવાડા ડેમમાં નર્મદાનું પાણી નાખવામાં આવે તો ખેડુતો ને નહેર પાણી મળી સકે તેમ છે જેથી ખેડુતોની માંગ છે કે ડેમમાં નર્મદાનું પાણી નાખવામાં આવે.
દાંતીવાડા ડેમમાં નર્મદાનું પાણી નાંખવા સરકારે કરોડો રૂપિયાના ખર્ચે પાઈપલાઈન નાખી છે પરંતુ માત્ર એક વખત પાણી નાખ્યા બાદ ફરીથી ડેમમાં નર્મદાનું પાણી નાખ્યું નથી. અત્યારે દાંતીવાડા ડેમમાં પાણીની સ્થિતિ ઓછી છે ત્યારે નર્મદાનું પાણી નાખી ખેડૂતોને આખી રવિ સિઝન માટે પાણી અપાય તેવી ખેડૂતોની માંગ છે.હાલ તો ખેડુતો ને ચોમાસા બાદ શિયાળુ વાવેતર કરવું મુશ્કેલ બન્યુ છે.