મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યની પ્રવર્તમાન અછતના સંદર્ભમાં વધુ એક ખેડૂત હિતકારી નિર્ણય કર્યો છે. રાજ્યમાં ડાર્ક ઝોનમાં સમાવિષ્ટ પ૭ તાલુકાઓમાં હવે ખેડૂતોએ કૃષિવિષયક વીજજોડાણ મેળવવા માટે ડ્રીપ કે સ્પીન્કલર પધ્ધતિ ફરજીયાત પણે અપનાવવાની રહેશે નહીં. ઊર્જા મંત્રી સૌરભભાઇ પટેલે આ ખેડૂત હિતલક્ષી નિર્ણયની વિગતો આપતાં કહ્યું કે, અગાઉ રાજ્ય સરકારે ભૂગર્ભ જળસ્તર નીચા જતાં હોવાની સ્થિતિને કારણે રાજ્યના પ૭ તાલુકાઓમાં ડાર્ક ઝોન જાહેર કર્યો હતો. તદ્દઅનુસાર જે ખેડૂતો કૃષિવિષયક વીજ જોડાણ મેળવવા માંગતા હોય તેમણે ફરજીયાત પણે સુક્ષ્મ સિંચાઇ પધ્ધતિ અપનાવવાની રહેતી હતી. પરંતુ આ વર્ષે ચોમાસામાં અપૂરતા વરસાદને કારણે સર્જાયેલી અછતની પરિસ્થિતિને ધ્યાનમાં લઇને મુખ્યમંત્રીએ કૃષિવિષયક વીજજોડાણ મેળવતા ખેડૂતો માટે સૂક્ષ્મ સિંચાઇ પધ્ધતિ ફરજીયાત અપનાવવાની જોગવાઇ અન્ય જાહેરાત ન થાય ત્યાં સુધી મોકૂફ રાખવા નિર્ણય કર્યો છે.