દીકરીના જન્મ પછી સરકારી લાભ રૂ. 600 લેવાની લાલચમાં 6 લોકોના મોત થયા છે. જમુઈ જિલ્લાના લખીસરાયની અર્ચનાએ ગુરુવારે રાતે બાળકીને જન્મ આપ્યો હતો. આશા કાર્યકર્તા અંજનાએ રૂ. 600 માટે રાત્રે જ બાળકીને રસી અપાવવાની વાત કરીને તેને હોસ્પિટલ લઈ જવાની વાત કરી હતી. રાત ઘણી થઈ ગઈ હોવાથી અર્ચનાના પિતા નિવાસ પાંડેએ હોસ્પિટલ જવાની ના પાડી દીધી હતી. પરંતુ અંજનાએ સરકારી લાભની વાત કરીને બધાને મનાવી લીધા હતા. હોસ્પિટલ જતી વખતે ડ્રાઈવરને ઝોકું આવી જવાના કારણે અકસ્માત થયો હતો અને તેમાં 6 લોકોના મોત થયાં હતાં. જોકે આ એક્સિડન્ટમાં ચમત્કારિક રીતે નવજાત બાળકીનો જીવ બચી ગયો છે. તેની હેસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
કાર ડ્રાઈવર વિપુલે પણ જવાની ના પાડી દીધી હતી. તે છેલ્લા બે દિવસથી ઊંઘ્યો ન હતો અને તે ગાડી ચલાવવા સક્ષમ નથી તેવું તેણે જણાવ્યું પણ હતું. પરંતુ જિદ પર અડેલી આશા કાર્યકરે બધાને મનાવી લીધા હતા.
કારણકે સરકારી સ્કીમ પ્રમાણે સરકારી હોસ્પિટલમાં બાળકીનો જન્મ રેકોર્ડ કરાવવાથી આશા કાર્યકર્તાને રૂ. 600 આપવામાં આવતા હોય છે. આ જ લાલચના કારણે તેણે કોઈની વાત ન માની અને અંતે દરેક લોકોનું મોત થઈ ગયું.
મૃતકોમાં અર્ચના, તેના પિતા, ઘરના અન્ય બે સભ્યો, આશા કાર્યકર્તા અને ડ્રાઈવર સામેલ છે. આમ, શુક્રવારે એક જ ઘરમાંથી ચાર અરથીઓ ઉઠી હતી. જોકે નવજાત બાળકીનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો.
મૃતકોમાં સામેલ પ્રસૂતા અર્ચનાને પહેલાં જ બે દીકરા છે. એક 5 વર્ષનો પ્રયાંશુ અને બીજો 3 વર્ષનો સુઘાંષુ. ઘરના લોકો અર્ચનાને નસબંદી કરાવી દેવાની જિદ કરતા હતા પરંતુ અર્ચનાને ઈચ્છા હતી કે તેને એક દીકરી હોય. ગુરુવારે રાતે અર્ચનાએ એક દીકરીને જન્મ આપ્યો. તેની ઈચ્છા પૂરી થઈ ગઈ, પરિવાર પણ ખૂબ ખુશ હતો પરંતુ તે તેની દીકરીને છોડીને આ દુનિયામાંથી જતી રહી.