ભારતની એકતા અને અખંડિતતાના પ્રતિક અને લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની યાદમાં તા. ૩૧ ઓક્ટોબરના રોજ સવારે ૭.૩૦ વાગ્યે પાલનપુરમાં શ્રી જી.ડી.મોદી કોલેજથી પોલીસ પરેડ ગ્રાઉન્ડ સુધી રન ફોર યુનિટી કાર્યક્રમ અંતર્ગત એકતા દોડ યોજાઇ હતી. કલેકટર સંદીપ સાગલેએ જી.ડી.મોદી કોલેજ ખાતે સરદાર વલ્લભભાઇ પટેલના ફોટાને ફૂલહાર કરી શ્રધ્ધાજંલિ આપી એકતા દોડને પ્રસ્થાન કરાવ્યું હતું. જેમાં વિશાળ સંખ્યામાં પાલનપુરના નગરના લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ પ્રસંગે કલેકટર સંદીપ સાગલેએ મિડીયા સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે દેશની એકતા અખંડિતતાના મહાન શિલ્પી અને લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ ઉજવણી પ્રસંગે આજે પાલનપુર સહિત સમગ્ર જિલ્લામાં રન ફોર યુનિટીના ભવ્ય કાર્યક્રમો યોજાયા છે. તેમણે કહ્યુ કે દેશના રજવાડાઓને એક કરવાનુ ભગીરથ કાર્ય સરદાર વલ્લભભાઇ પટેલે કર્યુ હતુ. આ મહાપુરુષની યાદમાં સરદાર સરોવર કેવડીયા કોલોની ખાતે વિશ્વની સૌથી ઉંચી ૧૮૨ મીટર સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવામાં આવ્યું છે. જેનું આજે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વરદહસ્તે લોકાર્પણ થવાનું છે. જે આપણા સૌના માટે આનંદ અને ગૌરવની વાત છે.
એકતા દોડમાં મોટી સંખ્યામાં અધિકારીઓ, પદાધિકારીઓ, શાળાના બાળકો, પોલીસ જવાનોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે એકતા અને અખંડિતતા માટેના શપથ લેવામાં આવ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં સ્વાગત પ્રવચન જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ર્ડા.દિપકભાઇ દરજીએ કર્યુ હતુ.