પાલનપુર તાલુકાના સાસમ ગામમાં સાસરિયા ત્રાસથી એક પરિણીતાએ પોતાના સાત માસના પુત્ર સાથે ઘર આગળ બનાવેલી પાણીની કુંડીમાં પડી આપઘાત કરતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. આ અંગે મૃતકના પિયરપક્ષ દ્વારા ગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે પરિણીતાના પતી, સાસુ અને સસરા સામે આપઘાત માટે દુષ્પ્રેરણનો ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પાલનપુર તાલુકાના મડાણા (ગઢ) ખાતે રહેતા ભવાનજી કપુરજી ઠાકોર અને રમીલાબેનએ પોતાની દીકરી નયનાબેનના લગ્ન પાલનપુર તાલુકાના સાસમ ગામે રહેતા જવાનજી નાથુજી ઠાકોરના પુત્ર રાજેશ સાથે સાત વર્ષ અગાઉ કર્યા હતા.જેમને લગ્ન જીવન દરમિયાન પુત્ર આર્ય અવતર્યો હતો. જોકે, નયના બેનના પતિ તેમજ સાસુ- સસરા તેણીને અવારનવાર શારીરિક માનસિક ત્રાસ ગુજારતા હોઈ નયનાબેન ત્રાસી ગયા હતા.
દરમિયાન રવિવારે તેમણે સાત માસના પુત્ર આર્યને સાથે લઈ ઘર આગળ બનાવેલી અંડર ગ્રાઉન્ડ પાણી ભરેલી ટાંકીમાં પડી આપઘાત કરીલીધો હતો. ઘટનાની જાણ થતાં આજુબાજુના રહીશો દોડી આવ્યા હતા. અને બન્ને માતા-પુત્રના મૃતદેહોને બહાર કાઢ્યા હતા. આ અંગે જાણ કરવામાં આવતા ગઢ પીએસઆઇ વી.આર. પટેલ સ્ટાફ સાથે દોડી આવ્યા હતા. અને મૃતકની માતા રમીલાબેન ભવાનજી ઠાકોરે નોંધાવેલી ફરિયાદના આધારે મૃતકના પતિ, સાસુ અને સસરા સામે આપઘાત માટે દુષ્પ્રેરણનો ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.