થરાદના વજેગઢમાં મારુતિધામમાં રહેતા રહેતા વિરદાનજી કેશાજી (તુરી)બારોટ ઉ.વ.૩૫ એ રહેણાંક ઓરડામાં રાત્રીના સમયે શુક્રવારની મધરાતે પોતાના ઘરે દોરડા વડે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આપઘાતનું કારણ તેમની પુત્રીના અપહરણકારો દ્વારા મળેલી ધમકીઓ હોવાનું પરિવારજનો જણાવી રહયા છે. જેની હકિકત મુજબ વિરદાનભાઈ બારોટની પુત્રીની સગાઈ રાજસ્થાનમાં સામાજિક રીતિ રિવાજ મુજબ કરાઈ હતી. પરંતુ કોઈ કારણસર સગાઈ ફોક થયેલ હોવાથી સાસરિયા દ્વારા ચારેક દિવસ અગાઉ તેણીને બળજબરી પૂર્વક ઉઠાવી જવાઈ હતી. જે બાબતે ગત ૧૨ તારીખે વિરદાનભાઈએ થરાદ પોલીસ મથકે ૬ ઇસમો વિરુદ્ધ પોતાની અપરિણીત પુત્રીનું અપહરણ થયું હોવાની લેખિત ફરિયાદ આપી હતી. જોકે પોલીસે આ બાબતને કોઈજ ગંભીરતાથી લીધી ન હતી. જ્યારે બીજી તરફ અપહરણકારો દ્વારા વિરદાનભાઈને ફરિયાદ કરવા બાબતે જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવતી હોઈ તેઓ અપમાન સહન ન કરી શકતા લાચારીના કારણે પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. વિરદાનભાઈના પિતાએ અને પરિવારજનોએ પોલીસ સમક્ષ બળાપો વ્યક્ત કર્યો હતો. લાશને પી.એમ અર્થે સરકારી હોસ્પિટલ લવાઇ હતી.બે પુત્રીઓના પિતાએ આત્મહત્યા કરતાં પરિવારમાં દુઃખની લાગણી ફેલાઇ જવા પામી હતી. પોલીસે હાલ અકસ્માતે મોત અન્વયે નોંધ કરી છે.