લાખણી :- લાખણી તાલુકાના આગથળા ગામે આવેલી પગાર કેન્દ્ર શાળાના આચાર્યએ પગાર કેન્દ્ર શાળામાં આવતી આગથળા, સરકારી ગોળીયા તેમજ મોરાલ ગામની આઠ શાળાઓની સ્વચ્છતા, શિષ્યવૃત્તિ તેમજ ગુણોત્સવની અંદાજે દસથી પંદર લાખ રૂપિયાની માતબર રકમ ઉપાડી લઇ બે વર્ષથી એક પણ શાળામાં ગ્રાન્ટ ના આપતા તમામ શાળાઓના આચાર્યો ભેગા મળી તાલુકા શિક્ષણાધિકારીને લેખિત આપતા સમગ્ર શિક્ષણ બેડામાં ચકચાર મચી જવા પામી છે.
સરકાર દ્વારા શાળાઓમાં આપવામાં આવતી શિષ્યવૃત્તિ,સ્વચ્છતા તેમજ ગુણોત્સવ ની ગ્રાન્ટ જે તે શાળાની પગાર કેન્દ્ર શાળાના આચાર્યના એકાઉન્ટમાં જમા કરવામાં આવે છે. જ્યારે પગાર કેન્દ્ર શાળાના આચાર્ય દ્વારા આ ગ્રાન્ટ જે તે શાળાના આચાર્યને આપવામાં આવે છે. પરંતુ લાખણી તાલુકાના આગથળા ગામે આવેલી પગાર કેન્દ્ર શાળાના હસ્તક અન્ય આઠ પ્રાથમિક શાળાઓ આવેલી છે. જેથી તે તમામ આઠ શાળાઓની શિષ્યવૃત્તિ, સ્વચ્છતા તેમજ ગુણોત્સવ ગ્રાન્ટના નાણાં આગથળા પગાર કેન્દ્ર શાળાના આચાર્ય દેવચંદ સોલંકીના ખાતામાં જમા થતા હતા. પરંતુ આચાર્ય દ્વારા આ નાણાં અન્ય શાળાઓમાં આપવાના બદલે છેલ્લા બે વર્ષ 2016-17 અને 2017-18 થી આ નાણા ઉપાડી વાપરી નાખતો હોવાથી છેલ્લા બે વર્ષથી શાળાઓનો વિકાસ અટકી જવા પામ્યો હતો. જેથી આ શાળાઓના આચાર્યોએ દેવચંદ સોલંકીને વારંવાર રજૂઆત કરવા છતાં પણ બે વર્ષથી ઉપરોક્ત ગ્રાન્ટ ન મળતા તેમજ શિષ્યવૃત્તિ માટે દરેક શાળાના વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા ઉઘરાણી કરાતા આખરે કંટાળીને ન્યાય માટે આઠ શાળાઓના આચાર્યોએ લાખણી તાલુકાના શિક્ષણાધિકારીને લેખિત રજૂઆત કરતા સમગ્ર શિક્ષણ જગતમાં ચકચાર મચી જવા પામી છે.
કઈ કઈ શાળાઓની કઇ ગ્રાન્ટ ચાઉં થઇ
1) ગણેશપુરા પ્રા.શા.ની શિષ્યવૃત્તિ, સ્વચ્છતા.
2) સરકારી ગોળીયા પ્રા.ની શિષ્યવૃત્તિ , સ્વચ્છતા
3) ભૂરગઢ પ્રા.શા.ની શિષ્યવૃત્તિ, સ્વચ્છતા, ગુણોત્સવ
4) ઢાંકણિયાવાસ પ્રા. શાળાની શિષ્યવૃત્તિ, સ્વચ્છતા 5)ગોગાપુરા પ્રા.શાળાની સ્વચ્છતા, શિષ્યવૃત્તિ
6)મોરાલ પ્રા. શાળાની શિષ્યવૃત્તિ
7)વિહાજી નગર પ્રા.શાળાની શિષ્યવૃત્તિ , સ્વચ્છતા
8)લેબતપુરા પ્રા.શાળાની શિષ્યવૃત્તિ, સ્વચ્છતા
(લેબતપુરા પ્રાથમિક શાળા ચાલુ વર્ષે ઢાંકણીયા વાસ પ્રાથમિક શાળામાં મર્જ કરવામાં આવી છે.)