દાંતા-અંબાજી માર્ગ વધુ એક મહિના સુધી વાહન વ્યવહાર માટે બંધ રહેશે
રખેવાળ ન્યુઝ અંબાજી : અંબાજી – દાંતા વચ્ચેના માર્ગમાં અકસ્માત સર્જાવાની ઘટના વારંવાર બનતી હતી. જેને લઇ હાલમાં અંબાજી – દાંતા વાયા ત્રિશુળીયા ઘાટ વાળા માર્ગને પહોળો કરવાની કામગીરી પુરઝડપે ચાલી રહી છે. જોકે, આ વિસ્તાર પહાડી અને પથ્થર વાળો હોવાથી અનેક મશીનરીઓ અહીંયા લગાવવામાં આવી છે પણ તેમ છતાં હાલમાં આ માર્ગના પહાડો કાપવા માટે વિસ્ફોટક સામગ્રીનો ઉપયોગ પણ કરવામાં આવી રહ્યો છે જેને લઈ આ રસ્તા ઉપર કોઈ અકસ્માત ન સર્જાય તે માટે તેમજ કોઇ કામગીરીમાં અડચણરૂપ વાહન ન થાય તે માટે સૌ પ્રથમ એક મહિના માટે આ માર્ગને બંધ કરવા જિલ્લા કલેકટર દ્વારા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો પણ એક મહિનાની અંદર આ કામગીરી પૂર્ણ ન થતા કામ વધુ સમય લાગે તેમ હોવાથી માર્ગને વધુ સમય માટે બંધ કરવા માંગ કરાઇ હતી. તેને લઇ જિલ્લા કલેક્ટરે વધુ એક મહિના માટે અંબાજી – દાંતા વાય ત્રિશુળીયાઘાટ વાળા માર્ગને બંધ કરવા જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. એટલું જ નહીં અંબાજી પોલીસ ઈન્સપેકટર જે.બી.અગ્રાવતે પણ આ પ્રતિબંધિત માર્ગ ઉપર કોઈપણ જાતના વાહનો ન જવા અને સાથે એમ પણ જણાવવામાં આવ્યું હતું કે આ માર્ગ પ્રતિબંધીત હોવા છતાં કોઈ વાહનો પસાર થશે અને જો કોઇ અકસ્માત સર્જાય તો તેવી હોનારતમાં વીમો મળવાને પાત્ર પણ રહેતો નથી. તેથી કોઈપણ યાત્રિકો પોતાના વાહનો જોખમ ન લે અને જે સુરક્ષિત અન્ય ડાયવર્ઝન આપેલા માર્ગ ઉપર વાહન હંકારવા વિનંતી કરી છે. આ અંબાજી -દાંતા વચ્ચે ત્રિશુળીયાઘાટમાં વિસ્ફોટક સામગ્રીથી પહાડોમાં બ્લાસ્ટ કરીને તોડવાની કામગીરીને વેગ આપવામાં આવી રહ્યુ છે અને વહેલી તકે કામગીરી પુરી કરી શકાય તેવા કોન્ટ્રાક્ટર દ્વારા પણ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.