સ્વમાનનગર પ્રાથમિક શાળામાં શિક્ષિકાથી ત્રસ્ત વાલીઓએ તાળાબંધી કરી
પાલનપુર
પાલનપુરની સ્વમાનનગર પ્રાથમિક શાળામાં શિક્ષિકાના ત્રાસથી વાજ આવી જઇ વાલીઓએ શાળાને તાળાબંધી કરી હતી. વાલીઓએ શિક્ષિકાની બદલી નહીં થાય ત્યાં સુધી તાળાં નહીં ખોલવાની ચિમકી ઉચ્ચારતાં ચકચાર મચી જવા પામી છે.બનાસકાંઠા જિલ્લામાં શિક્ષણનું સ્તર કથળતું જાય છે. જિલ્લામાં છેલ્લા ૩ મહિનામાં ૮ શાળાઓને તાળાબંધી કરવાના કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. ત્યારે પાલનપુરના સ્વમાનનગરની વધુ એક શાળાને તાળાબંધી કરવાની ઘટના ઘટી છે. આ શાળામાં ફરજ બજાવતી એક શિક્ષિકા દ્વારા અસભ્ય વર્તન કરવાની સાથે બાળકોને હેરાન કરવામાં આવતા હોવાની, સ્કૂલમાં શિક્ષિકા મોડી આવતી હોવાની તથા ધમકીઓ આપતી હોવાના ગંભીર આક્ષેપ સાથે ગ્રામજનોએ સ્કૂલને તાળા બંધી કરતા શૈક્ષણિક કાર્ય ઠપ્પ થઇ ગયું હતું.